![]()
image : Social mediaVadodara Traffic Police : વડોદરા શહેરના વિવિધ ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ ખૂબ રહેતું હોવાના કારણે તંત્ર દ્વારા ડાબી બાજુએ જતા વાહનો માટે સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવ્યા છે. આમ છતાં પણ કેટલાક વાહન ચાલકો સ્પ્રિંગ પોસ્ટ એરિયામાં વળી જતા તેમને અન્ય રસ્તે થઈને જવાની ફરજ પડે છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઘટશે કે વધશે તે તો આગામી દિવસમાં ખબર પડશે. શહેરમાં આવા ટ્રાફિક ભારણવાળા આઠ વિસ્તાર નક્કી કરાયા હતા. જે પૈકી પાંચ જગ્યાએ સ્પ્રિંગ પોસ્ટ લગાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય ટ્રાફિકવાળા ચાર રસ્તે આવા સ્પ્રિંગ પોસ્ટ લગાવવાનું આયોજન છે.
અત્યારે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વુડા સર્કલ ચાર રસ્તે વાહન અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. ત્યારબાદ આવા ગોઝારા અકસ્માત શહેરના કેટલાય ચાર રસ્તા પર અગાઉ બની ચૂક્યા છે હોવાનું કહેવાય છે. કારેલીબાગ વુડા સર્કલ ચાર રસ્તાની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા વિવિધ ટ્રાફિકવાળા કેટલાક ચાર રસ્તા કે જ્યાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય એવા વિસ્તારો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે ટ્રાફિકના ભારણવાળા શહેરના આઠ જેટલા વિસ્તારના ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોવાનું તારણ સામે આવ્યું હતું.
જે પૈકીના અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે આવા સ્પ્રિંગ પોસ્ટ સૌ પ્રથમ લગાવાયા હતા. આ ચાર રસ્તેથી જે વાહનચાલકોને ડાબી બાજુ વળવું હોય તે પણ ટ્રાફિક સિગ્નલ ખુલી જતા સીધા જતા રહેતા હતા. પરંતુ આ સ્પ્રિંગ પોસ્ટ લગાવાયા બાદ ડાબી બાજુ જનારા વાહનચાલકોને ખૂબ રાહત થઈ હતી. આવી જ રીતે શહેરમાં ટ્રાફિક ભારણવાળા આઠ વિસ્તારના ચાર રસ્તાની ઓળખ થઈ હતી. જે પૈકીના કારેલીબાગ, વુડા સર્કલ, સોમા તળાવ ચાર રસ્તા, કાલાઘોડા ચાર રસ્તા, નર્સિંગ હોમ સર્કલ, નરહરી સર્કલ સહિતના ટ્રાફિકવાળા ચાર રસ્તા ખાતે પ્રાથમિક તબક્કે સ્પ્રિંગ પોસ્ટ લગાવાયા છે. આવા ટ્રાફિક ભારણવાળા અન્ય ચાર રસ્તા પર આવા સ્પ્રિંગ પોસ્ટ લગાવવાનું તંત્ર દ્વારા નક્કી કરાયું છે.
ખૂબ મોટો ફૂટપાથ સાંકડો કરાય તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે
શહેરના ટ્રાફિક ભારણવાળા ચાર રસ્તા ખાતે સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવ્યા છે. જે પૈકી કારેલીબાગ, અમિત નગર સર્કલથી વુડા સર્કલ તરફ આવતા વાહનચાલકોને ફતેગંજ અથવા મંગલ પાંડે રોડ તરફ જવાનું હોવા છતાં પણ સ્પ્રિંગ પોસ્ટ લગાવાયા હોવા છતાં પણ એ વિસ્તારમાં વાહનચાલકો આવી જાય છે પરિણામે મુક્તાનંદ તરફ જનારા વાહનચાલકોને પણ ફરજિયાત પણે પોતાનું વાહન ટ્રાફિકમાં રોકવાની ફરજ પડે છે. આ રોડ ટ્રાફિકના લીધે નાનો પડે છે જો બાજુમાં આવેલી હોસ્પિટલ પાસેનો ફૂટપાથ પ્રમાણમાં ખૂબ જ પહોળો છે અનેક વાહનચાલકો પોતાના વાહન આ ફૂટપાથ પરથી જ અહંકારીને મુક્તાનંદ તરફ જવા વળી જતા હોય છે. જો આ ફૂટપાથ સાંકડો કરી દેવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા ખૂબ હળવી થઈ શકે તેમ છે.










