અમદાવાદ,શુક્રવાર
શહેરના રખિયાલમાં આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલક દ્વારા બેરોકટોક રીતે ગેરકાયદે કફસીરપનું વેચાણ કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી દિવસોમાં મેડીકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે. ત્યારે બીજી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ દાણીલીમડામાં ઝડપાયેલા કફસીરપના કેસમાં પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારજી નામના વ્યક્તિની પુછપરછ કરવામાં આવે તો ફેક્ટરીમાં નિયમને નેવે મુકીને તૈયાર થતી કફસીરપની બેચની પણ વિગતો સામે આવી શકે છે.
રખિયાલમાં આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં સરદારજીનું હુલામણું નામ ધરાવતો સંચાલક બેરોકટોક રીતે કોઇપણ ડર વિના ગ્રાહકોને કફ સીરપની બોટલ કોઇપણ તબીબી પ્રિસ્ક્રિપશન વિના આપે છે. નશો કરવાના વિકલ્પ રૂપે કફસીરપ ખરીદવા આવતા લોકોને તેણે એક કોડવર્ડ આપ્યો હતો કે કફસીરપ નહી પણએક વસ્તુ કહેવાનું જેથી એક બોટલ કફ સીરપ મળશે. અને જો બે વસ્તુ બોલો તો બે બોટલ મળે.. સરદારજી એક કફસીરપની બોટલના ૨૦૦ રૂપિયા અને નવો ગ્રાહક હોય તો ૩૦૦ રૂપિયા પણ લેવામાં આવે છે.
એટલું જ નહી સરદારજી મેડીકલ સ્ટોરમાં ગેરકાયદે કફસીરપ વેચાણ કરવાની સાથે કેટલાંક લોકોેને તે હોલસેલમાં પણ કફ સીરપનો જથ્થો સપ્લાય કરતા હોવાની વિગતો સામે આવી છે.તેમજ દાણીલીમડામાં થોડા મહિનાઓ પહેલા એક રીક્ષામાં કફસીરપનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં પણ સરદારજીનું નામ સામે આવ્યું હતું. પરંતુ, ત્યારબાદ પણ સરદારજી નામના વ્યક્તિએ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ નશાનો વિકલ્પ ગણાતા સીરપનું વેચાણ ચાલુ રાખ્યું હતું.










