Rajkot Silver Market Crisis: રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. માત્ર સામાકાંઠા વિસ્તારમાં જ 1200થી વધુ ચાંદીના વેપારીઓ કાર્યરત છે. પરંતુ તાજેતરના ટૂંકાગાળામાં ચાંદીના ભાવમાં આવેલા અચાનક અને ભારે ઉછાળાએ વેપારીઓને ગંભીર આર્થિક દબાણમાં મૂકી દીધા છે. ભાવની અસ્થિરતાને કારણે ખરીદી-વેચાણમાં અનિશ્ચિતતા વધી ગઈ છે, જેના પરિણામે હાલ ધંધો ઠપ્પ થઈ ગયો છે.
કરોડોનું આર્થિક નુકસાન
ચાંદીના ભાવમાં આવેલા અકલ્પનીય અને અચાનક ઉછાળાને કારણે રાજકોટના ચાંદીના વેપારીઓને કરોડો રૂપિયાની ભારે ખોટ સહન કરવી પડી છે. ખાસ કરીને સામાકાંઠા વિસ્તારના અડધાથી વધુ વેપારીઓ કાનપુર, બનારસ અને ઈન્દોર જેવા શહેરોના વેપારીઓ સાથે કામ કરે છે. આ ભાવની ઉથલપાથલનો સીધો અને ગંભીર પ્રભાવ તેમના ધંધા પર પડ્યો છે.
આર્થિક કટોકટીના કારણે ઘણા વેપારીઓએ હાલ પૂરતો ધંધો સમેટી લીધો
સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાજકોટનાં ઘણા વેપારીઓએ ભાવમાં ઉછાળાને બનારસ અને ઈન્દોરના વેપારીઓ સાથે સેટલમેન્ટ કરવું પડયું છે. જેમાં પણ રાજકોટનાં વેપારીઓને બહુ મોટો ફટકો પડયો છે. આ પૈકીનાં ઘણાં વેપારીઓએ ધંધો હાલ પૂરતો સમેટી લીધો છે અને સેટલમેન્ટ મુજબ રકમ સૂચવવા મથી રહ્યાં છે.
આ પણ વાંચો: AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત
આગામી દિવસોની વધ-ઘટથી રાજકોટના વેપારીઓ ચિંતાતુર
બીજા તબક્કામાં એટલે કે ડિસેમ્બર માસમાં જ ચાંદીનો ભાવ રૂ. 1.88 લાખથી વધીને એક તબક્કે રૂ. 2.54 લાખ સુધી પહોંચી જતાં સટ્ટો રમનારા ધૂમ કમાયા છે. જો કે વેપારીઓ અને સટ્ટોડિયાને આગળ શું થશે તેનો હજુ કોઈ અંદાજુ આવી રહ્યો નથી. કારણ કે માધ્યમોમાં ચાંદી 3 લાખ, 4 લાખ સુધી પહોંચશે તેવી સતત વાતો થઈ રહી છે. તેને સાચી માનવી કે નહીં તે સટ્ટોડિયાઓ અને વેપારીઓ નક્કી કરી શકતા નથી. ચાંદીના ભાવમાં આગામી દિવસોમાં પણ ઉથલપાથલ યથાવત રહેશે તો તેની મોટાપાયે રાજકોટનાં વેપારીઓ અને સટ્ટોડિયાને અસર પડશે.











