![]()
વડોદરા,પ્રતાપનગર રેલવે કોલોનીમાં મંગેતરની હત્યા કરનાર યુવતીએ પોતાના મોબાઇલ ફોનમાંથી ડેટા ડિલિટ કરી દીધા છે. જે રિકવર કરવા માટે પોલીસે તપાસ શરૃ કરી છે. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ લીધા છે.
મૂળ છોટાઉદેપુરના રોઝકુવા ગામના સચિન રાઠવા અને દેવલિયા ગામની રેખા સકુભાઈ રાઠવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. મે ૨૦૨૫માં બંનેની સામાજિક રીતે સગાઈ થઈ હતી. દરમિયાન, રેખાને તેના પિતાના અવસાન બાદ રહેમરાહે વડોદરા પ્રતાપનગર રેલવે કોલોનીમાં નોકરી મળી હતી. છેલ્લા છ મહિનાથી સચિન અને રેખા સાથે રહેતા હતા.
૨૯ મી તારીખે રેખાએ સચિનની હત્યા કરી હતી. શરૃઆતથી જ રેખાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે,સચિનનું મોત કુદરતી રીતે થયું છે. જ્યાં સુધી પી.એમ. રિપોર્ટ ના આવ્યો ત્યાં સુધી તેણે હત્યાની કબૂલાત જ કરી નહતી. આડાસંબંધની શંકાના કારણે ત્રણ વર્ષના પ્રેમસંબંધનો અંત આવ્યો હતો. રેખા અને સચિન જે ફ્લોર પર રહેતા હતા. તે ફ્લોર પર બનાવના સમય બપોરે અઢીથી ચાર વાગ્યા દરમિયાન કોઇ જ નહતું. દોઢ કલાક દરમિયાન શું બન્યું ? તે અંગે રેખા હજી સ્પષ્ટ જણાવતી નથી. રેલવે કોલોનીના એન્ટ્રી ગેટ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસ ચકાસણી કરી રહી છે કે, આ સમય દરમિયાન કોલોનીમાં કોણ કોણ આવ્યા હતા ? પી.આઇ. ગાયત્રી રાજપૂતે જણાવ્યું છે કે, આ ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.










