![]()
image : Freepik
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રિના સમયે દુર્ગંધ અને ગેસની વાસ મારવાની કેટલીક ફરિયાદો વડોદરા ગેસ લિમિટેડને મળી રહી છે. જે અંતર્ગત ગતરોજ મકરપુરા વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદના આધારે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ દોડતા થયા હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રે દુર્ગંધ મારતી હોવાની વ્યાપક ફરિયાદો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે. જે દિશા તરફનો પવન હોય તે વિસ્તારમાં ખાસ કરીને એક ચોક્કસ પ્રકારની દુર્ગંધ (વાસ) ફેલાતી હોય છે. ખાસ કરીને જ્યાં હાઇરાઇઝ બિલ્ડીંગો છે ત્યાં ઉપરના માળના રહીશોએ પોતાના મકાનના બારી, બારણા ક્યારેક મોડી રાત્રિના બંધ કરી દેવાની ફરજ પડે તે પ્રકારની દુર્ગંધ ફેલાઈ રહી છે. આ વચ્ચે ગઈકાલે રાત્રે મકરપુરા વિસ્તારમાં આવેલ પ્રિય દર્શન, રાજરતન, શુભ ફ્લેટ, સાંઈધામ વગેરે વિસ્તારમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ હતી. જેથી અહીંના રહીશોએ વડોદરા ગેસ લિમિટેડને દુર્ગંધ ફેલાઈ હોવા અંગેનો મેસેજ કર્યો હતો. જેના આધારે ગેસ વિભાગની ટીમે અહીં પહોંચીને તપાસ કરી હતી. જેમાં દુર્ગંધ ગેસની ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વચ્ચે વારંવાર ફેલાતી આવી દુર્ગંધ કઈ છે? અને ત્યાંથી આવી રહી છે? તેની યોગ્ય તપાસ થવી પણ તેટલી જ જરૂરી છે.










