![]()
Surat News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. “બસ બહુ થયું, શ્રવણ જોશી નિર્દોષ છે” અને “સુરત માંગે ન્યાય” ના નારા સાથે યોજાનારી આ સભાને લઈને શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, આ સભા યોજાય તે પહેલા જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
સનાતન ધર્મના યુવાવર્ગનો વિરોધ
આ સભાની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક સનાતન ધર્મના યુવા સંગઠનો મેદાને આવ્યા છે. યુવાવર્ગનું કહેવું છે કે, જે નેતાઓ પર ગંભીર આરોપો છે તેમના સમર્થનમાં આવી સભાઓ યોજીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ “ભ્રષ્ટાચાર અને ખંડણીખોરોનો વિરોધ” કરવાના સંદેશા વહેતા થયા છે. આવતીકાલે સભાના સ્થળે યુવાવર્ગ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશીની ખંડણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટી આ ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી રહી છે અને તેના સમર્થનમાં ગોડાદરાના ખોડીયાર ચોક ખાતે સાંજે 8:00 વાગ્યે સભાનું આયોજન કર્યું છે. આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે.
આ પણ વાંચો: કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પોલીસ બંદોબસ્ત
સભા અને સંભવિત વિરોધને જોતા ગોડાદરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે.
સનાતન ધર્મના એક યુવાવર્ગે જણાવ્યું હતું કે, ‘ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સનાતન વિરોધી માણસ છે, જે હંમેશા ધર્મનો દુષ્પ્રચાર કરે છે. ક્યારેક ભગવત ગીતાનું તો ક્યારે અમારા કથા વાંચકોનું અપમાન કરે છે. આ વ્યક્તિ પોતાની રાજનીતિ ચમકાવવા માટે કાલે ગોડાદરામાં સભા કરવાનું બેનર અમે જોયું. જેનો તમામ સનાતની ભાઈઓએ વિરોધ કર્યો છે. જો તેઓ કાલે સભા કરશે તો અમે તેનો વિરોધ કરીશું.’










