અમદાવાદ, સંજીવ રાજપૂત: ખેડાના કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદના કિન્નર સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.
ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થઈ માતાજીની પૂજા-અર્ચના અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમના પર કરવામાં આવેલ તદ્દન ખોટા હોવાનો ખુલાસો પત્રકારો સામે કર્યો હતો.
કઠલાલમાં થોડા દિવસો પહેલા થયેલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામીની દે કિન્નર દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કામીની દે અને કિન્નર અખાડા દ્વારા કઠલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા હતા.
અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કઠલાલના કિન્નર આરતી નાયક દ્વારા ખોટા અને આધારવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કિન્નર સમાજે આરતી નાયકના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ દ્વારા માનહાની સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે અખાડાના મહામંડલેશ્વર સહિત કામિની દે કિન્નર, કોહિનૂર દે કિન્નર, સુનિતા દે કિન્નર સહિત વિવિધ અખાડાઓના કિન્નર એકત્ર થયા હતા અને ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.










