![]()
Maharastra Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ, હવે જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં પણ ભાજપ અને સાથી પક્ષોનો ભગવો લહેરાયો છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ફરી એકવાર પસ્ત થતું જોવા મળી રહ્યું છે. ભાજપને જિલ્લા પરિષદની ચૂંટણીમાં અત્યાર સુધી 145 બેઠકો પર લીડ મળી છે. જ્યારે શિંદેની શિવસેના 85 અને અજિત પવારની એનસીપી 80 બેઠક પર આગળ છે. રાજ્યમાં કુલ 731 જિલ્લા પરિષદ અને 1462 પંચાયત સમિતિની બેઠક માટે રવિવારે મતદાન થયું હતું પરંતુ ડેપ્યુટી સીએમ અજિત પવારના નિધન બાદ પરિણામો જાહેર થવામાં વિલંબ થયો હતો.
ભાજપ અને સહયોગી પક્ષોનું પ્રભુત્વ
મહારાષ્ટ્રમાં રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. સાંગલી, સાતારા અને પનવેલ જેવા વિસ્તારોમાં ભાજપે મજબૂત પકડ જાળવી રાખી છે. સાતારામાં ભાજપ 32 બેઠકો પર આગળ છે, જ્યારે શિંદેની શિવસેના અને અજીત પવારની NCP પણ સરેરાશ દેખાવ કરી રહી છે. વિધાનસભા ચૂંટણી પછી નિરાશા અનુભવી રહેલા વિપક્ષો માટે આ પરિણામો વધુ એક આંચકો સમાન છે, કારણ કે કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથના સૂપડા સાફ થતા દેખાયા છે.
અજિત પવારના નિધન બાદ ‘બારામતી’માં NCPનો ગઢ અકબંધ
આ ચૂંટણીઓ અગાઉ 5 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારના અચાનક નિધનને કારણે તેને મોકૂફ રાખી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવી હતી. અજીત પવારના ગઢ ગણાતા બારામતી અને પુણે વિસ્તારમાં NCP (અજીત જૂથ) ને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે અજીત પવારના નિધન બાદ પેદા થયેલી ‘સહાનુભૂતિની લહેર’ને કારણે NCP પુણે અને સોલાપુર જેવા જિલ્લાઓમાં લીડ મેળવી રહી છે. સોલાપુરમાં NCP 24 બેઠકો પર આગળ છે, જ્યારે ત્યાં કોંગ્રેસ હજુ ખાતું પણ ખોલાવી શકી નથી.
વિપક્ષી ગઠબંધન માટે જોખમની ઘંટડી
વિધાનસભાની હાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ આશા રાખી રહ્યા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ વાપસી કરશે, પરંતુ પરિણામો તેનાથી વિપરીત છે. ઉદ્ધવ જૂથ માત્ર 21 બેઠકો પર સમેટાયેલું જોવા મળી રહ્યું છે. ભાજપ અને તેની સાથી પાર્ટીઓના ગઠબંધને ગ્રામીણ વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે, જે આગામી સમયમાં વિપક્ષો માટે વધુ કપરા ચઢાણ સાબિત કરશે.










