![]()
તા.17 ફેબુ્રઆરી 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે
આખરી મતદારયાદીમાં ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થશે : યાદીમાં સમાવિષ્ટ નામો સામે વાંધા રજૂ કરવા ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળ્યાં, જે પૈકીના ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજૂર કરાયા
આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ’ (એસઆરઆઈ) અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી ૧૭મી ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, આ નવી યાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાના કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારો પૈકીના ૨,૩૧,૭૯૯ મતદારોના નામ આખરી યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં એસઆરઆઈની પ્રક્રિયા બાદ મતદાર યાદી સંબંધી વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૨-૨૦૨૬ જાહેર કરવામાં આવેલો છે. જે કાર્યક્રમના મુખ્ય તબક્કાઓની વિગતો મુજબ તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૪-૧૨-૨૦૨૫ સુધી બીએલઓ દ્વારા ઘરે-ઘરે મતગણતરી ફોર્મ્સ વિતરણનો સમયગાળો હતો.
આ સમયગાળા દરમિયાન બીએલઓ દ્વારા ઘરે-ઘરે ફરીને કુલ ૧૮,૧૨,૩૨૭ પ્રી-પ્રિન્ટેડ મતગણતરી ફોર્મ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ ૧૫,૮૦,૫૪૭ મતગણતરી ફોર્મ્સ પરત મળ્યા છે. જ્યારે કુલ ૨,૩૧,૭૮૦ ફોર્મ્સ મરણ, કાયમી સ્થળાંતર, ગેરહાજર, અન્ય જગ્યાએ પણ નામ મતદારયાદીમાં નોંધાયેલ હોવાથી તેમજ અન્ય કારણોસર પરત આવેલા નથી.
તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ ડ્રાફટ (કાચી) મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની ૦૭ વિધાનસભાના કુલ ૧૫,૮૦,૫૪૭ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ થયો હતો, જ્યારે ફોર્મ પરત ના આવવાના કારણે કુલ ૨,૩૧,૭૮૦ મતદારોનો કાચી મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ સુધી હક્ક – દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો. તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફટ (કાચી) મતદારયાદીમાં જે મતદારોના નામનો સમાવેશ થયેલ ન હોય તેવા મતદારોના હક્ક દાવા સંબંધે કુલ ૨૧,૫૧૨ ફોર્મ્સ (ફોર્મ નં.૬) મળ્યા હતો, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૪૫૧૬ ફોર્મ્સ નામંજુર કરવામાં આવેલા છે. જે મતદારોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલા છે તેઓના નામ સામે વાંધા રજુ કરવા સંબંધે કુલ ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળેલ છે, જે પૈકી પુરાવાના અભાવે કુલ ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજુર કરવામાં આવ્યા છે.
તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૧૦-૦૨-૨૦૨૬ સુધી નોટીસ અને અપીલ સુનવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા જે મતદારોનું પોતાનું અથવા તેઓના માતા પિતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલું ન હોય તેવા ૮૨,૭૨૬ મતદારોની અને લોજીકલ વિસંગતતા ધરાવતા અન્ય મતદારો, એમ મળીને કુલ ૨,૮૨,૬૦૦ મતદારોની નોટીસ કાઢી સુનવણી કરવામાં આવી હતી. આ સુનવણીના અંતે પાત્રતા ધરાવતા ૨,૭૧,૬૦૧ મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધ કરવામાં આવશે. સુનવણી દરમિયાન પાત્રતા ધરાવતા કુલ ૨,૭૧,૬૦૧ મતદારો સહીત આખરી મતદારયાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થનાર છે. તેમજ પુરાવાના અભાવે અને પાત્રતા ન ધરાવતા હોય તેવા કુલ ૧૦, ૯૯૯ મતદારોના નામ આખરી મતદારયાદીમાં સમાવેશ થવા પામશે નહી. જે મતદારોનું નામ આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયેલ ન હોય તેવા મતદારોએ મતદારયાદીમાં તેઓનુ નામ દાખલ કરવા અર્થે ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કિ કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવા તેમજ એકરારનામા સહીત નિયત નમૂનાનું ફોર્મ નંબર-૬ ભરીને સબંધિત બૂથ લેવલ ઓફિસરને આપવાનુ રહેશે. વધુમાં, ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ બાદ તા.૧૯-૧૨-૨૦૨૫થી તા.૩૦-૦૧-૨૦૨૬ દરમિયાન જિલ્લામાં તમામ ૦૭ વિધાનસભા મતવિભાગમાં કુલ ૭૮,૯૦૦ ફોર્મ્સ મળેલા છે. જે પૈકી ફોર્મ નં.૬ થકી ૧૬,૯૯૬ નવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ થશે. જ્યારે ૧૫,૧૦૯ મતદારોની વિગતોમાં ફોર્મ નં.૮ થકી સુધારો થશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.










