Himanta Biswa Sarma On Pakistan Army Chief Asim Munir’s statement : પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરના હિંદુઓ અને કાશ્મીર પરના નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ અસીમ મુનીર પર નિશાનો સાધ્યો છે અને કહ્યું હતું કે, ‘આપણે પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દેવી જોઈએ.’
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે’
આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, ભારત હકિકતને સ્વીકારી લે અને પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે.’
મુખ્યમંત્રી સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊંડી વૈચારિક ખાઈ છે.’
મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, ‘હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા રસ્તા અલગ છે. આવી સ્થિતિમાં આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવું અને આપણા ધર્મ અને સભ્યતાના મૂલ્યોને જાળવી રાખવું એ આપણી ફરજ છે. ફક્ત આ કરીને જ આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકીશું.’
આ પણ વાંચો: PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ
જનરલ અસીમ મુનીરે શું નિવેદન આપ્યું?
પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરે કહ્યું હતું કે, ‘આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. પાકિસ્તાનની દરેક પેઢીએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છે અને આવનારી પેઢીઓએ પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે.’