![]()
– ઉમેટા-આંકલાવ રોડ પરની હોટલ પાસે અકસ્માત
– મૃતક યુવક-યુવતી ડાકોર દર્શન કરવા માટે જતા, પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો
આણંદ : આણંદ જિલ્લાના ઉમેટા-આંકલાવ રોડ ઉપર આવેલી એક હોટલ નજીક સોમવારે સર્જાયેલા અકસ્માતમાં પુરપાટ ઝડપે જઈ રહેલી ફોરવ્હીલરે બાઇકને ટક્કર મારતા બાઈક આગળ જઈ રહેલ ટ્રેક્ટરની ટોલીના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા યુવક-યુવતીના મોત થયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ફોરવ્હીલરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાદરા તાલુકાના મુવાલ ગામે રહેતો ૨૧ વર્ષીય દેવ જગદીશભાઈ પટેલ સોમવારે પોતાના ગામની અને ભાદરણ ગામે કોલેજમાં અભ્યાસ કરતી મિત્ર કૃપાલીબેન શૈલેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ.૧૮)ને પોતાના બાઇક ઉપર બેસાડી ડાકોર દર્શન કરવા માટે જવા નીકળ્યો હતો. બંને ઉમેટા-આંકલાવ રોડ ઉપર આવેલી હોટલ નજીકથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચડેલી એક ફોરવ્હીલરેે ટક્કર મારતા બાઈક આગળ જઈ રહેલા લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયું હતું. જેમાં યુવક-યુવતી બંનેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે તુરંત જ વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ફોરવ્હીલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.










