![]()
રામનવમીથી તેરસ સુધી ભગવાનનો લગ્નોત્સવ : ઘેડ પંથકમાં આનંદોત્સવ : ઠાકોરજીનું ફુલેકું નીકળ્યું : કીર્તનની રમઝટ સાથે અબીલ ગુલાલ ઉડાડી રાયણનાં ઝાડ પર ભગવાનને ઝુલાવી રંગે રમાડતા ભાવિકો
માધવપુર, : અહી રામનવમીથી છેક તેરસ સુધી રોજ યોજાનારા ઠાકોરજીના લગ્નોત્સવ પૂર્વે પ્રતિ વર્ષની પરંપરા મુજબ લગ્ન કંકોતરી લખવાની રસમ યોજાઈ હતી. જેમાં સૌ કોઈ મધુવનમાં આવેલા રૂકમણી મઠે એકત્ર થયા હતા. અને વર તેમજ કન્યાપક્ષના લોકોની હાજરીમાં કંકોતરી લખાઈ હતી. આ નિમિતેં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કીર્તનની રમઝટ બોલવા સાથે શરણાઈઓ ગૂંજી ઉઠી હતી. અબીલ ગુલાલની છોળો ઉડવાની સાથે ભગવાનને રાયણના ઝાડ પર ઝૂલાવીને રંગે રમાડવામાં આવ્યા હતા.કીર્તનિયાઓએ કીર્તનની રમઝટ બોલાવી હતી.
ભગવાન શ્રીકૃષ્ણને સૌરાષ્ટ્ર ભૂમિ સાથે મોટો લગાવ છે. દ્વારીકાના નાથના લગ્ન માધવપુરમાં મધુવન ખાતે રૂક્ષ્મણીજી સાથે થયા હતા. આ નિમિત્તે માધવપુરમાં વર્ષોથી પરંપરા ચાલતી જ આવે છે. અહી ચૈત્ર સુદ નવમીથી ઉત્સવશૃખલા ચાલુ થઈ જશે અને કુલ ત્રણ વાર વરણાગી ફુલેકું નીકળશે.અને રોજ લગ્નોત્સવ યોજાશે.
આજે દર વર્ષની પરંપરા મુજબ લગ્ન કંકોતરી લખવાની રસમ યોજાઈ હતી. જેમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કીર્તનની રમઝટ બોલવા સાથે શરણાઈઓ ગૂંજી ઉઠી હતી. અબીલ ગુલાલની છોળો ઉડવાની સાથે ભગવાનને રાયણના ઝાડ પર ઝૂલે ઝૂલાવીને રંગે રમાડવામાં આવ્યા હતા.તેમજ ઠાકોરજી સાથે હોળી ખેલવામાં આવી હતી.તેમજ સૌ કોઈ વાજતે ગાજતે રૂક્ષ્મણીજીના નિવાસ્થાન મઢે પહોંચ્યા હતા. ત્યાં ભગવાનને ફુલના બીછાનામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મેવો અને શિતળ જળ બાંટવામાં આવ્યું હતુ.ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ બધી વિધિ બાદ માધવરાયજી મંદિરના મુખ્યાજીના હસ્તે મોરપીછને શાહીમાં બોળી લગ્નની કંકોતરી લખવામાં આવી હતી. આ વખતે બહેનોએ લગનિયા રસીયા ગીતો ગાયા હતા. રૂક્ષ્મણી માધવરાયજીના જયઘોષ કરવામાં આવ્યો હતો.અહી રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસનો ભવ્ય લગ્નોત્સવ અને મેળો યોજવામાં આવશે. આજે કંકોતરી લખાઈ જતાં હવે ઘેડ પથકમાં 23 દિવસનો લગ્નોત્સવ થશે. રોજ રોજ લગ્ન ગીતો ગવાશે.










