Gujarat Dhuleti drowning incidents: ગુજરાતમાં એક તરફ લોકો હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ કેટલાક સ્થળોએ રંગોત્સવનો આ આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. પર્વની ઉજવણી બાદ નદી, કેનાલ અને તળાવમાં ન્હાવા પડેલા કુલ 36 લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતોમાં ક્યાંક બે સગા ભાઈઓએ તો ક્યાંક બે પિતરાઈ ભાઈઓએ સાથે જીવ ગુમાવ્યા છે, જ્યારે અંજાર નજીક બનેવીની નજર સામે જ સાળો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સામાન્ય રીતે ધૂળેટી દરમિયાન જાહેર જળસ્ત્રોતો પર ન્હાવા જવાની મનાઈ હોવા છતાં, લોકો અવાવરું સ્થળોએ પહોંચી જતા હોય છે. આવી ક્ષણિક બેદરકારી અંતે પરિવાર માટે આજીવનનું દુઃખ બની જતી હોય છે.
અમદાવાદમાં સાબરમતીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના મૃતદેહ બહાર આવ્યા
અમદાવાદના કુબેરનગર અને નરોડા વિસ્તારના ચાર મિત્રો ગઈકાલે બપોરે નાના ચિલોડા પાસે નંદીગ્રામ નજીક સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા હતા. નદીના ઊંડા પાણીમાં ગરકાવ થવાને કારણે કુબેરનગરના સંતોષીનગર વિસ્તારમાં રહેતા સાહિલ દિલીપભાઈ કોરી(ઉં.વ. 21) અને દુર્ગેશભાઈ ઠાકુરદિન કોરી(ઉં.વ. 21) તેમજ નરોડાના સન્ની અજયકુમાર યાદવ(ઉં.વ. 28)નું કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવના પગલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં કેનાલમાં અચાનક પાણી છોડાતા બે સ્થળોએ બે લોકો ડૂબી ગયા
કચ્છના અંજાર-આદિપુર રોડ પર શનિદેવ મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં ધૂળેટી રમીને ન્હાવા પડેલા બે લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. કેનાલમાં અચાનક પાણી છોડવામાં આવતા જળસ્તર વધી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. સાયફન નજીક ન્હાવા ગયેલા ત્રણ મિત્રો પૈકી બે તણાયા હતા, જેમાં 9 વર્ષીય બાળક ભવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આવી જ રીતે અન્ય એક ઘટનામાં કેનાલમાં ન્હાવા પડેલા સાળા-બનેવી પૈકી ગોપીભાઈ નારાયણભાઈ વડેચા(ઉં.વ. 25)નું ડૂબી જવાથી મોત થયું છે.
મોરબી, હળવદ અને અમરેલીમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના કરૂણ મોત
હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતો જયસુખ દીલાભાઈ પટેલ નામનો યુવાન ગત તા. 4ના રોજ નર્મદા કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આવી જ રીતે, મોરબીના ઉંચી માંડલ નજીક નર્મદા કેનાલમાં રાજસ્થાનનો સુરેશ ગુર્જર નામનો યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળતા ફાયર ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેનો મૃતદેહ આજે મળી આવ્યો છે. આ ઉપરાંત, અમરેલીના બહારપરામાં રહેતો 17 વર્ષીય સમીર મહેશભાઈ સોલંકી ધુળેટી રમીને વિઠ્ઠલપુર નજીક શેત્રુંજી નદીમાં ન્હાવા ગયો હતો, જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
માંડલના સીતાપુરમાં ઝોલાસર તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારોમાં ભારે આક્રોશ
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના સીતાપુરમાં ધુળેટી રમ્યા બાદ ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોમાં સીતાપુરના રહેવાસી સૌરવ અશોકભાઈ રાઠોડ(ઉંમર 11), પાર્થ મહેશભાઈ રાઠોડ(ઉંમર 9) અને કૌશિક લાલાભાઈ રાઠોડ(ઉંમર 9)નો સમાવેશ થાય છે. તહેવારના દિવસે જ ત્રણેય બાળકોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી
કયા સ્થળે કેટલા લોકોના મોત
અરવલ્લી જિલ્લામાં બે પિતરાઈ ભાઈઓ સહિત ચારના મોત
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવાગામ ખાતે હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં જૈમીન ડામોર(ઉંમર 11) અને રાયચંદ ડામોર(ઉંમર 12) નામના બે પિતરાઈ ભાઈઓ તળાવમાં ડૂબી ગયા હતા. આ સિવાય ધનસુરા તાલુકાના જાલમપુરામાં માઝુમ નદીમાં ન્હાવા પડેલા રણજીત ડાભી(ઉંમર 27) અને આનંદ ખાંટ(ઉંમર 25) નામના બે યુવકોના પણ ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે.
મહેસાણાની કાચી કેનાલમાં બે યુવકો ગરકાવ, કડીમાં પણ એક ડૂબ્યો
મહેસાણાના ચાર મિત્રો મોટીદાઉ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ યોજનાની કાચી કેનાલે ન્હાવા ગયા હતા. ઊંડા પાણીમાં ચારેય મિત્રો ડૂબવા લાગતા આસપાસના લોકોએ બે યુવાનોને બચાવી લીધા હતા, પરંતુ જયેશકુમાર અજબજી ઠાકોર(15 વર્ષ) અને વિજયજી વિનુજી ઠાકોર(21 વર્ષ) પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેંટ્યા હતા. આવી જ રીતે, કડીના થોળ રોડ નજીક નર્મદા યોજનાની માઈનોર કેનાલમાં મિત્રો સાથે ન્હાવા પડેલા શેરૂભાઈ હરચંદભાઈ સરાણીયા (35 વર્ષ) પણ એકાએક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
સુરત, બારડોલી અને તાપી પંથકમાં ડૂબી જવાથી 10 વ્યક્તિઓના મોત
સુરતના બારડોલી પાસે મીંઢોળા નદીમાં પાંચ મિત્રો ન્હાવા પડ્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ઉતરી જતાં ચાર યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં કેશવ સોનવણે, ભુમિત મિસ્ત્રી(24), અભિષેક ચૌધરી(21) અને નીલસિંહ સોલંકી(21)નો સમાવેશ થાય છે, જ્યારે દર્શનસિંહ સોલંકીનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, માંગરોળના પાનસરા ગામની કીમ ખાડીમાં ન્હાવા ઉતરેલા સંજય માંગુકીયા(44), પડોશી ચંદ્રભુષણ સિંહ(36) અને હેપ્પીસિંહ(26) પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબી ગયા હતા. સુરત શહેરમાં પણ તાપી નદીમાં ન્હાવા ગયેલા જયદીપ વિરાસ(20) અને નેપાળી યુવાન નવીન પરિહાર(30)ના મોત થયા છે. ઉપરાંત, તાપી જિલ્લાના કેલવણ ગામે પૂર્ણા નદી કિનારે મોઢું ધોવા ગયેલો પિયુષ વડ (18) પણ પાણીમાં ગરકાવ થયો હતો.
આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો
વડોદરામાં ડૂબવાની પાંચ ઘટનાઓ: ત્રણના મૃતદેહ મળ્યા
વડોદરા શહેર અને જિલ્લામાં હોળી-ધૂળેટી દરમિયાન ડૂબવાની પાંચ ઘટનાઓ બની હતી. સમા-સાવલી રોડ પર કેનાલમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી એકનો બચાવ થયો હતો, જ્યારે અન્ય એકની શોધખોળ હજુ જારી છે. મહીસાગરના ઉમેટા બ્રિજ પાસે પણ એક યુવક ડૂબ્યો હોવાના અહેવાલ છે. વાઘોડિયાના ખેરવાડી પાસે ક્વોરીના પાણીમાં ડૂબી જવાથી અનિલભાઈ પટેલનું મોત નીપજ્યું હતું, જ્યારે કરજણની શિવવાડી કેનાલમાં ડૂબી જવાથી રાજસ્થાનના વતની રાજકુમાર ગર્ગ(49)નું મૃત્યુ થયું હતું.
મહિસાગર: બે સગા ભાઈઓ સહિત ચાર યુવકો તળાવમાં ડૂબ્યા
મહિસાગર જિલ્લાના કોઠંબાના જૂની કંતાર ગામના ચાર યુવકો ધૂળેટી રમીને કમાલપુર નાકા તળાવમાં ન્હાવા ગયા હતા. પાણીમાં એકબીજાને બચાવવા જતાં જયેશ બારીયા(21), તેનો સગો ભાઈ વિપુલ બારીયા(19) તેમજ અમિત બારીયા(21) અને તુષાર બારીયા(21) એમ ચારેય મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટનાથી નાનકડા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી અને એકસાથે ચાર યુવાનોની અંતિમ યાત્રા નીકળતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.











