![]()
Panchmahal News : સમાજમાં વધતા ક્રોધ અને ગેરસમજણનું વધુ એક ભયાનક ઉદાહરણ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે સામે આવ્યું છે. અહીં કેવળ વહેમ અને શંકાના આધારે એક પિતાએ બીજા પિતાની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટના અંગે મળતી વિગતો અનુસાર, બોરિયાવી ગામના પટેલ ફળિયામાં રહેતા આરોપી નટુભાઈ ડાભીને એવી શંકા હતી કે સુભાષ નામના યુવકને તેની દીકરી સાથે આડા સંબંધ છે. આ શંકાના વહેમમાં ઉશ્કેરાઈને નટુભાઈ અન્ય બે શખ્સો સાથે સુભાષના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્રણેય આરોપીઓ જ્યારે સુભાષને ઢોર માર મારી રહ્યા હતા, ત્યારે તેને બચાવવા માટે તેનો ભાઈ ગણપતભાઈ અને વૃદ્ધ પિતા અમરસિંહ વચ્ચે પડ્યા હતા.આ ઝપાઝપી દરમિયાન, આરોપી નટુ વજા ડાભીએ ક્રોધમાં આવીને અમરસિંહના માથામાં લાકડીનો જોરદાર ફટકો મારી દીધો હતો. આ ફટકો જમણી આંખની ઉપર લમણાના ભાગે વાગતા જ અમરસિંહ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા.
સારવાર દરમિયાન મોત
અમરસિંહની ગંભીર હાલત જોઈને ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અમરસિંહને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.
હત્યાનો ગુનો દાખલ, આરોપીઓ ઝડપાયા
વૃદ્ધના મૃત્યુ બાદ પોલીસે ગુનાને હત્યામાં ફેરવી દીધો હતો. પંચમહાલ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને હત્યાના ત્રણેય આરોપીઓને પાડોશી તાલુકા મોરવા હડફમાંથી દબોચી લીધા છે.










