![]()
– ઈરાન-ઈઝરાયેલના યુદ્ધની ઝાળ : એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવા આદેશ, એસ્મા લાગુ
– કેન્દ્ર સરકારની એલપીજી, સીએનજી, પીએનજીને પ્રાથમિક્તા ખાતર ક્ષેત્રને 70 ટકા, અન્ય ઉદ્યોગોને 80 ટકા ગેસ અપાશે
– દેશમાં ગેસ પૂરવઠાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી નિર્દેશો આપ્યા
– એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસનો રૂ. 400નો ફ્યુઅલ સરચાર્જ વસૂલવા નિર્ણય, ડોમેસ્ટિક ફ્લાઈટ મોંઘી થશે
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે. ભારતમાં રાંધણ ગેસની અછતના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા છે. ભારતનો આયાતી ગેસ પૂરવઠો ખોરવાઈ જતા કેન્દ્ર સરકારે ઉદ્યોગોની જગ્યાએ જનતાને પ્રાથમિક્તા આપી છે. સરકારે ઘરેલુ સ્તરે ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની ફાળવણીની પ્રાથમિક્તા નિશ્ચિત કરતા નવી વ્યવસ્થામાં એલપીજી, સીએનજી અને પાઈપથી મળતા રસોઈ ગેસને મહત્વ આપ્યું છે. સાથે સરકારે એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવા નિર્દેશ આપ્યા છે. દેશમાં ગેસની અછતની પહેલી અસર હોટેલ અને રેસ્ટોરાં પર દેખાવા લાગી છે. અનેક શહેરોમાં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે એક સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ નજીકના સમયમાં અટકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે આ યુદ્ધની હવે ભારત પર અસર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલના પરિવહન પર ઈરાને પ્રતિબંધ મુકતા ભારતનો આયાતી ગેસનો જથ્થો અવરોધાયો છે. ભારત તેની જરૂરિયાતનો ૬૫ ટકા ગેસ ખાડી દેશોમાંથી આયાત કરે છે, ત્યારે મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે તેનો ૩૦ ટકા આયાતી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ભારતમાં આયાતી ગેસમાંથી ઘરેલુ ગેસ ઉત્પાદન દૈનિક વપરાશ લગભગ ૧૯.૧ કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર છે. જોકે, આ ગેસ પુરવઠો ખોરવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દેશમાં ગેસની સ્થિતિની સમિક્ષા કરી હતી. તેમણે મંત્રાલયને જનતાને પ્રાથમિક્તા આપવાના નિર્દેશ આપ્યા હતા. સાથે રિફાઈનરીઓને એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે, રિફાઈનરીઓને ૧૦૦ ટકા ક્ષમતા પર કામ કરી રહી છે.
પીએમ મોદીના નિર્દેશો મુજબ કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ ઉત્પાદનને પ્રાથમિક્તા આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ઘરઆંગણે ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની ફાળવણી અંગે મંગળવારે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નોટિફિકેશન મુજબ સરકારે ઉદ્યોગોના બદલે જનતાને પ્રાથમિક્તા આપી છે. સરકારે એલપીજી, સીએનજી અને પાઈપથી મળતા રસોઈ ગેસને અગ્રતા આપી છે. સરકારના નોટિફિકેશન મુજબ આ ક્ષેત્રોની જરૂરિયાતો પહેલા પૂરી કરાશે. ત્યાર બાદ અન્ય ક્ષેત્રોને ગેસ અપાશે. આ નવી વ્યવસ્થા મુજબ ગેસ પુરવઠાની ફાળવણીનું કામ ગેઈલને સોંપાયું છે.
નવી વ્યવસ્થા હેઠળ પાઈપ મારફત મળતા રસોઈ ગેસ (પીએનજી), વાહનો માટેના ગેસ સીએનજી અને એલપીજીની ફાળવણી પાછલા છ મહિનાના સરેરાશ વપરાશના આધારે ૧૦૦ ટકા ગેસ પૂરો પડાશે. ખાતર ક્ષેત્રને બીજી પ્રાથમિક્તા અપાઈ છે. તેને સરેરાશ જરૂરિયાતના ૭૦ ટકા ગેસ અપાશે. ત્યાર પછી ચા ઉદ્યોગ, ડિસઈન્વેસ્ટમેન્ટ અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને ગેસ અપાશે. તેમને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના આધારે ૮૦ ટકા ગેસ અપાશે. પ્રાથમિક્તાવાળા ક્ષેત્રોને પુરવઠો જાળવી રાખવા સરકાર પેટ્રોલિયમ એકમો, વીજએકમો અને ઊંચી કિંમતે ગેસ ખરીદતા ગ્રાહકોને ગેસમાં કાપ મૂકશે.
દરમિયાન સરકારે ઘરેલુ રાંધણ ગેસની સામે કમર્શિયલ એલપીજીમાં કાપ મૂકતા દેશભરમાં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. હોટેલ સંગઠનોએ સરકારને સરકારને ગેસ પુરવઠા માટે વિનંતી કરી છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી હસ્તક્ષેપ કરવા માગ કરી છે. જોકે, એસોસિએશને સ્પષ્ટ કર્યું કે, સરકારે કમર્શિયલ એલપીજી પર સત્તાવાર પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ સપ્લાયર્સ માગ પૂરી કરી શકતા નથી.
મુંબઈમાં હોટેલની સંસ્થા એએચએઆર મુજબ શહેરમાં ૨૦ ટકા હોટેલો બંધ થઈ ગઈ છે. રાજસ્થાનમાં ૫૦,૦૦૦થી વધુ હોટેલ-રેસ્ટોરાં બંધ થવાની સ્થિતિમાં છે. ચેન્નઈથી લખનઉ અને પૂણેથી કોલકાતા સુધી હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની આ જ સ્થિતિ છે. મોટાભાગની હોટેલો અને રેસ્ટોરાં પાસે એક-બે દિવસનો જ ગેસ પુરવઠો છે. હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ થવાથી તેના પર નિર્ભર લાખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અનેક હોટેલોએ તેમના મેનુ, સમયગાળો ઘટાડવાના વિકલ્પો પણ અપનાવ્યા છે. આ સિવાય હોટેલ ઉદ્યોગને ફટકાથી ઘરથી દુર અન્ય શહેરોમાં નોકરી કરતા અને હોટેલ-રેસ્ટોરાંના ભોજન પર નિર્ભર લોકો પણ મુશ્કેલીમાં મુકાશે.
દરમિયાન હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગની કમર્શિયલ સિલિન્ડરની અછતની મુશ્કેલી દૂર કરવા માટે સરકારે મંગળવારે સરકારી ઓઈલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિ લોકોની ફરિયાદો અને મુશ્કેલીઓ સાંભળશે.
દરમિયાનમાં ક્રૂડ ઓઈલની કટોકટીના પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત ઊભી થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આવા સમયે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ૧૨ માર્ચથી પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટ પર રૂ. ૩૯૯નો ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનો અને આંતરરાષ્ટ્રીય બૂકિંગ્સ માટે ચાર્જ વધારવાનો નિર્ણય ક્રયો છે. નવો ઈંધણ સરચાર્જ તબક્કાવાર અમલમાં મૂકાશે. સાર્ક દેશોની ફ્લાઈટ્સ પર પણ સમાન ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવશે. પશ્ચિમ એશિયાની ફ્લાઈટ્સ માટે ૧૦ યુએસ ડોલર, આફ્રિકાની ફ્લાઈટ માટે ૩૦થી ૯૦ યુએસ ડોલર અને દક્ષિણ-પૂર્વ એશિયાની સેવાઓ માટે ૨૦થી ૬૦ ડોલર ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવશે.
ભારતના સાત લાખ કન્ટેનર અખાતમાં ફસાયા
મધ્ય-પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ખાદ્ય પદાર્થો, પ્રોસેસ્ડ ફૂડ, ટેક્સટાઈલ અને રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગના નિકાસકારો પર યુદ્ધની ગંભીર અસર પડી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતની નિકાસ સંપૂર્ણપણે બંધ નથી થઈ, પરંતુ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ વૈકલ્પિક સમુદ્રી માર્ગ અપનાવવો પડી રહ્યો છે. ભારતના અંદાજે ૬થી ૭ લાખ ટીઈયુ (કન્ટેનર) ખાડી ક્ષેત્રના વેપારી માર્ગો પર છે, જેમાંથી અંદાજે ૩.૫ લાખ કન્ટેનર હાલ ખાડી ક્ષેત્રમાં જ ફસાયેલા છે. આ કન્ટેનરો હોર્મુઝ ખાડીમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે કેટલાક જહાજ અરબ સાગરમાં અને ઓમાનના સમુદ્રી ક્ષેત્રમાં ખાડી દેશો તરફ આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે.










