![]()
શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે આરટીઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ચોરી થયેલા કુલ ૯૩ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે, જેથી આવા વાહનોનો કોઈપણ પ્રકારનો વ્યવહાર અટકાવી શકાય.
વર્ષ ૨૦૨૫માં ચોરી થયેલા ૮૦ વાહનોમાં ૨ -મોટા વાહનો, ૭- કાર, ૨ – થ્રી વ્હીલર તથા ૬૯ – ટુ વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. ઈન્દોરના – ૧, દિલ્હીના-૨, ભોપાલ-૧, બોડેલીના-૨ અને સુરતના- ૧ વાહનનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા શહેરના -૩૦ વાહનો ચોરી થયેલા હોવાનું નોંધાયું છે. વર્ષ ૨૦૨૬માં ચોરી થયેલા ૧૩ વાહનોમાં ૧૧ – બાઈક અને ૨ – કારનો સમાવેશ થાય છે. આ વાહનો ભોપાલ અને વડોદરા સહિતના શહેરોમાંથી ચોરાયા છે.
અત્રે નોંધનીય છે કે,શહેરમાં જ્યારે કોઈ વાહન ચોરી થવાની ઘટના બને છે ત્યારે પીડિત દ્વારા પોલીસ મથકે એફઆઈઆર નોંધાવવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેની માહિતી આરટીઓ વિભાગને મોકલવામાં આવે છે. આ માહિતીના આધારે આરટીઓ સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરે છે.
આરટીઓ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા વાહનો પર કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થઈ શકતું નથી. જેમાં વાહનનું નામ ટ્રાન્સફર, માલિકીના બદલાવ સહિતની વાહન સંબંધિત તમામ કામગીરી પર પ્રતિબંધ આવી જાય છે. આ પગલાંના કારણે ચોરી થયેલા વાહનોના ગેરકાયદેસર વેચાણ અથવા અન્ય ઉપયોગને અટકાવવામાં મદદ મળેછે. વાહન ચોરી થવા પર લોકો તરત જ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે.










