![]()
રાજપીપળા તા.૧૫ તા.૧૯મી માર્ચથી શરૃ થનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી ઉપર બનાવાયેલો હંગામી પુલ અચાનક ધોવાઈ જતા અધિકારીઓમા દોડધામ મચી છે.
નર્મદા જિલ્લામાં પવિત ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. બે ત્રણ દિવસ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રુટનું અને પરિક્રમાવાસીઓને સામે પાર જવા માટે શેહરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પર બનાવાયેલા હંગામી પુલ પર ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું.
હવે આ નિરીક્ષણના ગણતરીના કલાકોમાં જ હંગામી પુલ ધોવાઈ જતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પરિક્રમા ચાલુ થાય એ દિવસે આ જ હંગામી પુલ પરથી હજારો લોકો પસાર થાય છે ત્યારે એ વખતે જો આ પુલ ધોવાયો હોત તો કેવી અફરાતફરીનો માહોલ સર્જાયો હોત સાથે સાથે કેટલી મોટી જાનહાની થઈ હોત તેવા પ્રશ્નો પણ સર્જાયા છે.
નર્મદા પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ માટે કેટલો ખર્ચ થયો હતો તેમજ કઇ એજન્સીને આ કામ સોપવામાં આવ્યું હતું તે અંગે અધિકારીઓનો સંપર્ક કરતા ફોન નો રિપ્લાય આવતો હતો. પરિક્રમા શરૃ થાય તે પહેલાં જ તંત્રની નિષ્કાળજી બહાર આવતા કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.










