![]()
– પત્ની દ્વારા રસોઇ ના બનાવવી ક્રૂરતા ગણવાની પતિની માગ સુપ્રીમે ફગાવી
– તમે એક જીવનસાથી સાથે લગ્ન કરો છો કોઇ નોકરાણી સાથે નહીં, હવે પહેલા જેવો સમય નથી રહ્યો : પતિને સુપ્રીમની સલાહ
નવી દિલ્હી: કોઇ નોકરાણી સાથે લગ્ન નથી કરતા પરંતુ એક જીવનસાથી પસંદ કરો છો અને તેથી એક પતિએ પણ ઘરના એ તમામ કામ કરવા જોઇએ જે પત્ની કરતી હોય છે. આ સલાહ સુપ્રીમ કોર્ટે એક પતિને આપી હતી. સાથે જ કહ્યું હતું કે પતિએ પણ ઘરના કામ જેમ કે રસોઇ બનાવવી, કપડા ધોવા સાફ સફાઇ તમામ કામ કરવા જ પડશે. હવે જમાનો પહેલા જેવો નહીં પણ અલગ છે.
કપલના લગ્ન ૨૦૧૭માં થયા હતા, બન્ને વચ્ચે આઠ વર્ષનો પુત્ર પણ છે, પતિએ એવો આરોપ લગાવ્યો હતો કે પત્નીનું વર્તન લગ્નના થોડા સમય બાદ બદલાઇ ગયું હતું, મારી વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવા લાગી હતી, રસોઇ બનાવવાનું પણ બંધ કરી દીધુ હતું. બાળકના જન્મ બાદ પોતાના માતા પિતાને ત્યાં જતી રહી જ્યાં મને નહોતી બોલાવતી. અગાઉ ફેમેલી કોર્ટે આ દલીલો માન્ય રાખી છૂટાછેડા મંજૂર કર્યા હતા જેને હાઇકોર્ટે રદ કરી દીધા હતા. તેથી પતિ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે સમય આપ્યો છતા કોઇ સમાધાન ના થયું.
આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમના ન્યાયાધીશ સંદીપ મેહતા અને ન્યાયાધીશ વિક્રમનાથની બેન્ચે પતિને કેટલીક સલાહ આપી હતી, ન્યાયાધીશ મેહતાએ કહ્યું હતું કે તમે કોઇ નોકરામી સાથે લગ્ન નથી કરી રહ્યા પરંતુ એક જીવનસાથી સાથે લગ્ન કરો. જેમાં ન્યાયાધીશ વિક્રમનાથે ઉમેરો કરતા કહ્યું હતું કે રસોઇ બનાવવા, કપડા ધોવા સાફ સફાઇ વગેરે ઘરના તમામ કામોમાં યોગદાન આપવું તે પણ પતિની ફરજ છે. હાલનો સમય બદલાઇ ગયો છે. જો પત્ની ઘરના કામમાં સાથ સહકાર ના આપતી હોય તો તે ક્રૂરતા ના ગણાય. હાલ સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી મુલતવી રાખી હતી.










