![]()
– દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં બંગાળી પોશાકમાં પીએમ મોદીનું સંબોધન
– ઉત્તરાખંડના ગંગોત્રીથી બંગાળના ગંગાસાગર સુધી કમળ ખીલ્યું, ગંગાના કાઠે આવેલા ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ભાજપની સરકાર
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામો બાદ દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ કહ્યું હતું કે હવે બંગાળ હિંસામુક્ત બનશે. બંગાળમાં ભયની નહીં, ભવિષ્યની વાત થશે. બદલાની નહીં, બદલાવની રાજનીતિ થશે. તેમણે આસામમાં ભાજપની સરકારને મળેલા વિજયનો શ્રેય વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. પુડુચેરીમાં પણ એનડીએ ગઠબંધનને વિજય મળ્યો હતો તે સંદર્ભમાં પણ તેમણે ૪૭ મિનિટના ભાષણમાં વિકાસકાર્યોને યશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિતિ ભાજપ મુખ્યાલયમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએના વિજય પછી સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ તેમના લાક્ષણિક અંદાજમાં કહ્યું હતું કે બંગાળ હવે હિંસામુક્ત થશે. બંગાળમાંથી ભય દૂર થશે અને ભવિષ્યની વાત થશે. બંગાળમાં બદલાની નહીં, બદલવાની રાજનીતિ થશે. તેમણે ઉત્તરાખંડના ગંગોત્રીથી બંગાળના ગંગાસાગર સુધી કમળ ખીલ્યું તે સંદર્ભમાં કહ્યું હતું: ગત વર્ષે બિહારમાં મેં કહ્યું હતું કે અહીં કમળ ખીલ્યું છે. અહીંથી ગંગા નદી ગંગાસાગર સુધી જાય છે અને બંગાળમાં પણ કમળ ખીલશે. એ વાત સાચી પડી છે. આ જીત ખૂબ અભૂતપૂર્વ છે. વર્ષોની કાર્યકરોની સાધનાનું પરિણામ છે. આજ ગંગા મૈયાની આસપાસ બધે જ કમળ ખીલ્યું છે. ઉત્તરાખંડથી શરૂ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્વિમ બંગાળ સુધી બધે જ ભાજપની સરકાર છે. આજે ભારતનું લોકતંત્ર જ નથી જીત્યું, ભારતનું બંધારણ પણ જીત્યું છે. ૯૩ ટકા મતદાન થવંપ એ જ એક ઐતિહાસિક બાબત છે.
પીએમ મોદીએ કહ્યું કે આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં જે મતદાન થયું તે પણ મહત્ત્વનું બની રહ્યું. એમાં મહિલાઓની, યુવાનોની ભાગીદારી ખૂબ હતી. તેમણે ચૂંટણીપંચ, ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાદળોને પણ ધન્યવાદ આપ્યા હતા. તેમણે ઉમેર્યું કે આજે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં એનડીએની સરકાર છે. અમારો મંત્ર છે – નાગરિક દેવો ભવ: અમે જનતાની સેવામાં સક્રિય છીએ એટલે જનતા ભાજપ પર ભરોસો કરે છે. જ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં વિકાસ.
તેમણે આસામ અને પુડુચેરીમાં ફરીથી ભાજપ-એનડીએની સરકાર બની તેનો યશ વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. તેમણે કહ્યું કે પુડુચેરીની જનતાએ એનડીએના વિઝન પર ભરોસો કર્યો તેમનો આભાર.
મોદીએ ભાજપ અધ્યક્ષની પીઠ થાબડીને જીતનો શ્રેય આપ્યો
પીએમ નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલયે પહોંચ્યા ત્યારે તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દૂર ચાલતા હતા. પીએમ મોદીએ તેમને ઈશારો કરીને તેમની સાથે ચાલવા કહ્યું હતું. તે પછી નીતિન નવીન જ્યારે પીએમને માળા પહેરાવીને સ્વાગત કરતા હતા ત્યારે પીએમ મોદીએ માળા પોતે પહેરવાને બદલે તેમના ગળામાં જ પહેરાવી દીધી હતી અને તેમની પીઠ થપથપાવીને અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાને તેમને આ વિજયની ક્રેડિટ આપી હતી. મોદીએ કહ્યું કે નીતિન નવીન અધ્યક્ષ બન્યા પછી પહેલી વિધાનસભાની ચૂંટણીઓ હતી. તેમણે પદ સંભાળ્યું તે સાથે જ આ પરિણામ આવ્યું છે.










