![]()
Gujarat Fuel And LPG Supply: ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPG સિલિન્ડરની અછતને લઈને ફેલાયેલી અફવાઓ વચ્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ખાતરી આપી છે કે સમગ્ર રાજ્યમાં ઇંધણનો પુરવઠો સતત અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
• ગુજરાતમાં BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને ઘરેલુ LPG વિતરણ કેન્દ્રો સુચારૂ રીતે કાર્યરત છે અને ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
• કોઈપણ પ્રકારની ચિંતા કે ઘબરાટમાં ખરીદી કરવાની જરૂર નથી. અમારી સપ્લાય ચેઇન વ્યવસ્થા મજબૂત અને કાર્યક્ષમ છે, જે સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે.
• અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવા વિનંતી કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.
સપ્લાય ચેઇન મજબૂત, ગભરાવાની જરૂર નથી
BPCL એ જણાવ્યું છે કે ગુજરાતમાં તેમના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) અને LPG વિતરણ કેન્દ્રો રાબેતા મુજબ કાર્યરત છે. કંપનીએ નાગરિકોને વિનંતી કરી છે કે કોઈપણ પ્રકારના ગભરાટ (Panic buying) માં આવીને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. કંપનીની સપ્લાય ચેઇન અત્યંત મજબૂત છે અને ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) વિશે
BPCL ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટીંગ કંપની છે, જેને ભારત સરકાર દ્વારા ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. મુંબઈ, કોચી અને બીના ખાતેની રિફાઈનરીઓ દ્વારા કંપની વાર્ષિક આશરે 35.3 MMTPA રિફાઈનિંગ ક્ષમતા ધરાવે છે. દેશભરમાં 23,500થી વધુ પેટ્રોલ પંપ અને 6,200થી વધુ LPG વિતરણ કેન્દ્રો દ્વારા કંપની કરોડો ગ્રાહકો સુધી પહોંચે છે.
પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર ભાર
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને BPCL અત્યાર સુધીમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થાપિત કરી ચૂક્યું છે. વધુમાં, કંપનીએ વર્ષ 2040 સુધીમાં ‘નેટ ઝીરો એનર્જી કંપની’ બનવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે ગ્રીન એનર્જી અને ટકાઉ ઉકેલો પર રોકાણ કરવામાં આવી રહ્યું છે.










