![]()
લોકાભિરામં રણરંગધીરં, રાજીવ નેત્રં, રઘુવંશ નાથં, કારૂણ્યરૂપં.. : મનપાના રામવનમાં નિઃશૂલ્ક પ્રવેશ : રતનપરમાં સમુહ ફરાળ પ્રસાદ : આજે દુર્ગાષ્ટમી નિમિત્તે માતાજીના મંદિરોમાં પણ ભાવિકોની ભીડ ઉમટશે
રાજકોટ, : ગત વર્ષે તા. 6 એપ્રિલે અને આ વર્ષે આવતીકાલ ગુરૂવાર તા. 26 માર્ચે રામનવમીની ઉત્સાહ અને ભાવપૂર્ણ મંદિરોમાં તથા ઘરે ઘરે ઉજવણી થશે અને મર્યાદા પુરૂષોત્તમ, કરૂણાના અવતાર, આશરે 7 સહસ્ત્રાબ્દિ પૂર્વે પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામનો જન્મોત્સવ મધ્યાન્હ સમયે ઉજવાશે. મંદિરોમાં બપોરે મહાઆરતી તેમજ પરંપરાગત પંજરીનો પ્રસાદ અને ભક્તો માટે ફરાળ પ્રસાદ સહિત આયોજનોને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં (1) નાણાવટી ચોકથી સતત 13માં વર્ષે વિહિપ દ્વારા 100થી વધુ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરીને ગોંડલરોડ ઉપર રામજી મંદિરે સમાપન થશે. (2) મહાપાલિકા સંચાલિત અને રાજ્યનું સૌપ્રથમ એકમાત્ર શ્રી રામના જીવનકવન ઉપર આધારિત શ્રી રામ વનમાં આવતીકાલે તમામ વયજુથના લોકોને નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. (3) રતનપર ખાતે રાજ્યનું એકમાત્ર રામચરિત માનસ મંદિર કે જેની દિવાલો ચોપાઈથી સુશોભિત છે ત્યાં ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે અને સવારે 7 વાગ્યાથી દર્શનાર્થીઓનો ધસારો થતો રહે છે.
સૌરાષ્ટ્રમાં ગામે ગામ પ્રાચીન-અર્વાચીન રામમંદિરો આવેલા છે તો રાજકોટમાં મનહરપ્લોટ, ગુંદાવાડી સહિત વિસ્તારોમાંદાયકાઓ પુરાના તથા સદી પુરાનુ રઘુનાથજી મંદિર સહિત મંદિરો આવેલા છે જ્યાં ધર્મોત્સવ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે મોટાભાગના ઘરોમાં ઉપવાસ રાખવામાં આવશે જેના પગલે ફરાળ માટેની સામગ્રી સક્કરિયા,રાજગરો,સાબુદાણા,બટાટા સહિતની માંગ વધી હતી. આવતીકાલે ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમી હોવાથી ચોટીલા ડુંગર સહિત માતાજીના મંદિરોમાં પણ ભાવિકો ઉમટશે.










