West Bengal Elections: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે એક આક્રમક નિવેદન આપીને રાજકીય તોફાન સર્જ્યું છે. ખડગપુરમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે જો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે, તો પોલીસ પ્રશાસનમાં સંપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. ઘોષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાજપ સરકાર ગુનેગારો સામે યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે હાલમાં બંગાળની પોલીસ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ઈશારે કામ કરી રહી છે અને માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
4 મે પછી બદલાશે બંગાળનું ચિત્ર
દિલીપ ઘોષે વધુમાં કહ્યું કે આગામી 4 મે પછી બધું બદલાઈ જશે. જે પોલીસ આજે માફિયાઓ સાથે બેસીને ચા પીવે છે અને ભ્રષ્ટ નેતાઓના ઈશારે કામ કરે છે, તેનું ચરિત્ર બદલાઈ જશે. તેમણે દાવો કર્યો કે ભાજપ સરકારમાં ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસે વળતો પ્રહાર કરતા ભાજપ પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે ચૂંટણી પંચને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.
વિવાદાસ્પદ નિવેદનથી ચૂંટણી પંચમાં ફરિયાદની માંગ
દિલીપ ઘોષે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે પોલીસ આજે માફિયાઓ સાથે બેસીને ચા પીવે છે અને ભ્રષ્ટ નેતાઓના ‘ચમચા’ તરીકે કામ કરે છે, તેનું ચરિત્ર 4 મે પછી બદલાઈ જશે. તેમણે ઉમેર્યું કે ભાજપના શાસનમાં દરેક ગુનેગારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. ઘોષની આ ટિપ્પણી બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર બિન-ન્યાયિક હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આ નિવેદનની ટીકા કરતા કહ્યું કે એન્કાઉન્ટર સંસ્કૃતિ ઉત્તર પ્રદેશમાં ચાલતી હશે, પરંતુ બંગાળમાં નહીં. તેમણે ચૂંટણી પંચને આ ભાષણની નોંધ લેવા પણ અપીલ કરી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
ગુંડાઓ અને માફિયાઓ સામે લડત ચાલુ રહેશે: ઘોષ
પોતાની આક્રમક શૈલી માટે જાણીતા દિલીપ ઘોષે વિરોધ પક્ષોની ટીકાઓને ફગાવી દેતા જણાવ્યું હતું કે, તેમણે લાંબા સમય સુધી ગુંડાઓ અને માફિયાઓ સામે લડત આપી છે અને આગળ પણ લડતા રહેશે. તેમણે પ્રશાસન પર એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસ પક્ષપાત કરી રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના કટઆઉટ હટાવવામાં આનાકાની કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2021ની ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠકોમાં મોટો વધારો કર્યો હતો, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ હવે સતત ચોથી વાર સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પશ્ચિમ બંગાળના આ ચૂંટણી જંગમાં હવે ભાજપ અને TMC વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની રહી છે.











