![]()
West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. રાજ્યના મુર્શિદાબાદ અને પુરુલિયા જિલ્લામાં શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શુક્રવાર સાંજે જ્યારે મુર્શિદાબાદના રઘુનાથગંજ વિસ્તારમાં રેલી નીકળી રહી હતી, ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે સ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મુર્શિદાબાદમાં તણાવપૂર્ણ સ્થિતિ
મુર્શિદાબાદના રઘુનાથગંજમાં શોભાયાત્રામાં સામેલ લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમના પર પૂર્વ આયોજિત કાવતરા હેઠળ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, સામા પક્ષે દાવો કર્યો હતો કે, રેલીમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાલ સ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને સેન્ટ્રલ ફોર્સની તૈનાતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર
પુરુલિયામાં પણ હિંસાની અસર
મુર્શિદાબાદ જેવી જ સ્થિતિ પુરુલિયાના પારા વિસ્તારમાં પણ જોવા મળી હતી. અહીં પણ રામનવમીની શોભાયાત્રા પર અજાણ્યા શખ્સોએ પથ્થર ફેંક્યા હતા. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મુર્શિદાબાદ રેન્જના ડીઆઈજી અજીત સિંહ યાદવે જણાવ્યું કે, હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કોઈ પણ તોફાની તત્વોને છોડવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચો : પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના










