![]()
ગાંધીનગર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર
એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો બીજાની શોધખોળ ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર રાયપુર નર્મદા
કેનાલના બ્રિજ ઉપરથી આજે બપોરે કુદેલા નાનાભાઈને બચાવવા માટે પડેલો મોટો ભાઈ પણ
ડૂબી ગયો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતા આ બંને ભાઈઓને શોધખોળ આદરી હતી
દરમિયાનમાં સાંજે નાના ભાઈનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. હાલ ડભોડા પોલીસે
વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના
બનાવો વધી રહ્યા છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર ગામ પાસે પસાર થતી
નર્મદા કેનાલ કેનાલ ઉપર પણ આજે આપઘાતની એક ઘટના બહાર આવી હતી. જે અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર ખાતે પાર્શ્વનાથ ટાઉનશિપમાં
રહેતો નિખિલ જયંતીભાઈ વાઘેલા નામનો યુવાન પારિવારિક તકરારમાં ઘરે ઝઘડો કરીને નીકળી
ગયો હતો. જેના પગલે તેનો મોટો ભાઈ તેને સમજાવવા માટે પાછળ પાછળ આવ્યો હતો. આ
દરમિયાન આ યુવાન દહેગામ નરોડા હાઇવે ઉપરથી પસાર થતી રાયપુર નર્મદા કેનાલના બ્રિજ
ઉપરથી કેનાલમાં કૂદી પડયો હતો. જેથી મોટો ભાઈ પણ તેને બચાવવા માટે કેનાલમાં કૂદી
ગયો હતો. જે ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ અને
ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. તપાસ
દરમિયાન નિખિલનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જ્યારે તેના ભાઈની શોધખોળ
કરવામાં આવી રહી છે. હાલ આ મામલે ડભોડા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.










