![]()
– એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદારે ફરિયાદ નોંધાવી હતી
– અશાંતધારા વિસ્તારમાં તબદીલની પુર્વ મંજુરી મેળવ્યા વિના મિલકત વેચી નાખી
ભાવનગર : ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજયનો બીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો હતો.જેમાં ભાવનગર શહેર, વોર્ડ નં.૫, શીટ નં.૧૩૫, સીટી સર્વ નં.૪૪૬૩ ક્રેસન્ટ વિસ્તારમા આવેલ પ્લોટ નં.૫૬૭/એ૧, એ/૨/ઈ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક દર્શરાજસિંહ ધર્મેંન્દ્રસિંહ ગોહીલએ ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમની ૧૯૯૧ હેઠળ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરવાના ઈરાદે આ મિલ્કત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચી નાખી હતી. જે અંગે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર વિદ્યાનગર, ભાવનગર દ્રારા ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોઈપણ ભોગે મિલકત ખરીદવા પૂર્વનિયોજીત કાવતરું ઘડયું
ઝડપાયેલા ધર્મેન્દ્રસિંહ અને જુનેદ મિત્રો હતા અને ક્રેસન્ટ વિસ્તારની આ મિલકતને જુનેદે અગાઉ ખરીદવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ અશાંતધારા વિસ્તારની આ મિલકતની ખરીદીની મંજૂરી નહી મળતા બાદમાં ધર્મેન્દ્રસિંહ મિલકતના મુળ માલિક પાસેથી આ મિલકત તેમના દિકરા દર્શરાજસિંહના નામે ખરીદી કરાવી હતી. બાદમાં દર્શરાજસિંહ પાસેથી અલારખભાઈ પાસે એડવાન્સમાં પૈસા લઈ વેચાણ માટે મંજૂરી માટે મુકી હતી પરંતુ મંજૂરી નહી મળતા અંતે વેચાણ સાટાખત કરી મિલકતનો સોદો કરી નાખ્યો હતો અને આ સોદાના ધર્મેન્દ્રસિંહ અને જૂનેદને દલાલીના રૂ.૫.૫૦ લાખ મળ્યા હતા અને આ માટે તેણે સમગ્ર પ્લાન ઘડયો હતો.










