![]()
મુંબઈ : ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની ઉપર ચાલુ રહેશે તો દેશમાં ફુગાવો ૬ ટકા સુધી પહોંચી શકે છે જેને પરિણામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પર રેપો રેટમાં વધારો કરવાનું દબાણ આવી શકે છે.
દેશમાં ફુગાવો બે ટકા ઉપર નીચે સાથે ૪ ટકા જાળવવાનો રિઝર્વ બેન્કને ટાર્ગેટ અપાયો છે. છ ટકાની સ્થિતિમાં ફુગાવો રિઝર્વ બેન્કની મહત્તમ મર્યાદા સુધી જોવા મળશે, એમ એચએસબીસીના એેક રિપોર્ટમાં જણાવાયું છે.
ક્રુડ તેલના સરેરાશ ભાવ ૧૦૦ ડોલરની નીચે રહેશે તો ફુગાવો પણ ૬ ટકાની અંદર જોવા મળશે. પરંતુ ૧૦૦ ડોલરથી ઉપરની સ્થિતિમાં ફુગાવો ૬ ટકાથી આગળ જઈ શકે છે જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ આવી શકે છે.ભારત હાલમાં ખાંડાની ધારે છે. માર્ચમાં બ્રેન્ટ ક્રુડ સરેરાશ ૧૦૦ ડોલર રહ્યું હતું.
સોમવારથી શરૂ થનારી નવા નાણાં વર્ષની પ્રથમ બેઠકમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) નવા નાણાં વર્ષમાં ફુગાવાની સ્થિતિ તથા રેપો રેટ બાબતે સંકેત આપશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
યુદ્ધને કારણે હાલમાં આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે ત્યારે રેપો રેટમાં વધારો કરવાનું જોખમ રિઝર્વ બેન્ક નહીં લે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.










