![]()
Gandhinagar Secretariat Grant Scam: ગાંધીનગરની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે, પરંતુ આ વખતે જૂના સચિવાલય જેવી સંવેદનશીલ જગ્યાએથી એક મસમોટું કૌભાંડ ઝડપાયું છે. સમાજના વંચિત અને પછાત વર્ગોના કલ્યાણ માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાં 4.95 કરોડ રૂપિયાની બારોબાર ઉચાપત થઈ હોવાની વિગતો બહાર આવતા સમગ્ર સચિવાલય સંકુલમાં સનસનાટી મચી ગઈ છે.
વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે આચરાયું કૌભાંડ
સૂત્રોનો જણાવ્યાનુસાર, જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આવેલી કચેરીમાં આ સમગ્ર ખેલ ખેલાયો હતો. આ કોઈ નાનો-મોટો છૂટોછવાયો બનાવ નથી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી અત્યંત વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. કૌભાંડીઓએ વેલફેર એક્ટિવિટીઝ માટે આવતી સરકારી ગ્રાન્ટ મેળવવા માટે મંજૂરીની ફાઈલોમાં બોગસ ડોક્યુમેન્ટ્સ અને નકલી પુરાવાઓ ઊભા કર્યા હતા. આ રકમ કોઈ પણ રોકટોક વગર સીધેસીધી ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી અને ત્યારબાદ આ નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું
જાગૃત નાગરિકની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
આ મસમોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ એક જાગૃત અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અરજદારે મહેનત કરીને તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા અને પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસની પ્રાથમિક ચકાસણીમાં આ આક્ષેપોમાં તથ્ય જણાતા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કચેરીના જ એક ઉચ્ચ અધિકારી, કેટલાક કર્મચારીઓ અને ત્રણથી ચાર ખાનગી એજન્સીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું છે.
મુખ્ય સૂત્રધાર વિદેશ ભાગી છૂટ્યો
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસની ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી છૂટ્યો છે. તેને પરત લાવવા માટે હવે રેડ કોર્નર નોટિસ જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. હાલમાં ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ દરમિયાન કૌભાંડનો આંકડો વધવાની અને અન્ય મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે.










