![]()
– સોનામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવાનો ઉદ્દેશ
– આ ઓળખ નંબર ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં
– સરકારે હોલમાર્કની નવી વ્યવસ્થાનું પહેલા 25 જિલ્લાઓમાં પરીક્ષણ કર્યું
નવી દિલ્હી : સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ આપવામાં આવશે. જે ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં.
આનાથી ગ્રાહકોને અસલી અને સાચી શુદ્ધતાવાળું સોનું મળવામાં મદદ મળશે. હાલમાં દેશનાં ૪૦૦ જિલ્લાઓમાં હોલમાર્ક યુનિક આઇડી (એચયુઆઇડી) સિસ્ટમ અમલમાં છે.
જેમાં દરેક ઘરેણાને એક વિશિષ્ટ નંબર આપવામાં આવે છે. જો કે સરકારને ફરિયાદો મળી રહી હતી કે કેટલાક કેસોમાં એક જ નંબર અનેક ઘરેણાઓ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેનાથી ગ્રાહકને જેટલી શુદ્ધતાનું સોનું બતાવવામાં આવે છે તપાસમાં અનેક વખત તેટલું શુદ્ધ સોનું હોતુ નથી.
આ પ્રકારનાં અનેક કેસ સપાટી પર આવ્યા છે. આ ગ્રાહકો સાથે એક પ્રકારની છેતરપિંડી છે. આ સમસ્યાને રોકવા માટે સરકાર હવે નવી અને કડક વ્યવસ્થા અમલમાં મૂકવા જઇ રહી છે. સરકારે આ નવી વ્યવસ્થાનું પરીક્ષણ પહેલા ૨૫ જિલ્લાઓમાં કર્યુ હતું. આ દરમિયાન હોલમાર્કવાળા દરેક ઘરેણાનો ફોટો, વજન અને અન્ય માહિતી ઓનલાઇન પોર્ટલ પર નોંધવામાં આવી હતી.
સોનું ખરીદતી વખતે હંમેશા બીઆઇએસનું હોલમાર્ક ચેક કરો. અસલી હોલમાર્ક પર બીઆઇએસનું નિશાન, શુદ્ધતા અને હોલમાર્કિંગ સેન્ટરનું કોડ સ્પષ્ટપણે લખેલુ હોય છે. હોલમાર્ક વગરનું સોનું ખરીદવું ન જોઇએ. સોનાની સપાટી પર થોડુક નાઇટ્રિક એસિડ લગાવતા જો તેનો રગં બદલાઇ જાય છે તો તે સાચુ સોનુ નથી.
જો રંગ બદલાતું નથી તો તે સાચુ સોનું છે. સાચુ સોનું ચુંબક પ્રત્યે આકર્ષિત થતું નથી. સોનું મેગ્નેટથી ચોંટી જાય છે તો તેમાં ભેળસેળ હોઇ શકે છે.










