Gujarat High Court On Balaram Land Dispute: બનાસકાંઠાના બાલારામ સેન્ચ્યુરીની જમીનનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં ગરમાયો છે. આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે રાજ્ય સરકાર અને વન વિભાગના કાર્યપદ્ધતિ પર વેધક સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે, જ્યારે મામલો ન્યાયાધીન હોય ત્યારે અધિકારીઓ કાયદો હાથમાં કેવી રીતે લઈ શકે?
કોર્ટના તીખા સવાલો: કાયદો હાથમાં કેમ લીધો?
હાઈકોર્ટે વન વિભાગના અધિકારીઓને ફટકાર લગાવતા પૂછ્યું હતું કે, “આદિવાસીઓએ જ્યારે જમીન મામલે કેસ કર્યો હતો અને તે પડતર હતો, તેમ છતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તે જમીન પર શા માટે ગયા હતા?”
કોર્ટે વધુમાં સખત શબ્દોમાં ઉમેર્યું કે, “દેશની ઉચ્ચતમ પાર્લામેન્ટમાં જ્યારે આ મામલો નિર્ણયાધીન હોય, ત્યારે તમારા અધિકારીઓ ત્યાં પહોંચી કેવી રીતે ગયા? શું તમે તમારી જાતને પાર્લામેન્ટ કરતા પણ ઉચ્ચ સમજો છો?”
આ પણ વાંચો: 77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી તાર જોડાયા
ઘર્ષણ અને કાયદો-વ્યવસ્થા પર સવાલ
બાલારામ સેન્ચ્યુરીની આ વિવાદિત જમીન પર વન વિભાગના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ અને મારામારીની ઘટના બની હતી. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે, “આ દેશમાં કોઈપણ વ્યક્તિ, ભલે તે અધિકારી હોય, કાયદો હાથમાં લઈ શકે નહીં.” કોર્ટે વન વિભાગને સ્પષ્ટ રીતે પૂછ્યું હતું કે, કયા અધિકાર હેઠળ અને કયા કારણોસર તેઓ વિવાદિત જમીન પર પહોંચ્યા હતા?











