![]()
અમદાવાદથી આશરે ૨૨૫ સીટના ક્વોટાના કારણે જનતાને પૂરતો લાભ મળતો નથી
ડીઆરયુસીસીની મિટીંગમાં સંમતી છતાં સકારાત્મક કાર્યવાહી થઈ નથી
ભાવનગર – ભાવનગર-બાંદ્રા ડેઈલી ટ્રેનમાં અમદાવાદથી રિઝર્વેશન ક્વોટા હોવાના કારણે ભાવનગર જિલ્લાની જનતાને ટ્રેનનો પૂરતો લાભ મળતો ન હોય, રિઝર્વ ક્વોટાને રદ્દ કરવાની માંગણી કરાઈ છે.
રેલવે તંત્ર દ્વારા ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફનો આશરે ૨૨૫ સીટનો રિઝર્વેશન ક્વોટા છે. આ ટ્રેનમાં અમદાવાદ સુધી આશરે ૨૨૫ સીટ ખાલી રહેવાથી આર્થિક નુકસાનીની સાથે ભાવનગર શહેર-જિલ્લાના મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગત માસે ડીઆરયુસીસીની મિટીંગમાં સભ્ય બૈજુભાઈ મહેતા સહિતનાએ રિઝર્વેશન ક્વોટા રદ્દ કરવા માટે સંમતી આપી હતી. તેમ છતાં સકારાત્મક કાર્યવાહી થઈ હોય તેમ જણાતું નથી. ભાવનગરના મુસાફરોના હિતમાં અમદાવાદથી જે રિઝર્વ ક્વોટા રાખવામાં આવ્યો છે તેને રદ્દ અથવા ઓછો કરવામાં આવે તેવી માંગણી સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગર ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે.










