અમદાવાદ જિલ્લાની પ્રતિભાશાળી વિધાર્થીની પંચાલ કિંજલ સુરેશકુમાર એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રી.એ.આર.એસ. સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીથી ડૉ. દલપત ચાવડાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ગુજરાતી વિષયમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.
તેમણે ‘ અનુઆધુનિક દલિત નવલકથામાં બોલીપ્રયોગ : એક અભ્યાસ (પસંદગીના નવલકથાકારના સંદર્ભે જોસેફ મેકવાન, મોહન પરમાર,દલપત ચૌહાણ) જેવા ગહન વિષય પર પોતાનો મહાશોધનિબંધ તૈયાર કર્યો હતો. આ સંશોધન કાર્ય તેમણે માર્ગદર્શક શ્રી ડૉ. દલપત ચાવડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
તાજેતરમાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ મૌખિક પરીક્ષણ (Viva)માં બાહ્ય પરીક્ષક તરીકે અમદાવાદની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠના ડૉ. સંજય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા મહાશોધનિબંધને માન્યતા આપવામાં આવી હતી.
ખાસ ઉલ્લેખનીય છે કે સામાન્ય મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા કિંજલબેનના માતા-પિતાએ અથાગ મહેનત કરી દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. કિંજલ પંચાલ ઉર્ફે કિંજલ સીતાપરા સમગ્ર કુટુંબ તથા પરિવારમાં ઉચ્ચ અભ્યાસ અને ડોક્ટરેટની પદવી મેળવનાર પ્રથમ દીકરી છે.
તેમની આ સિદ્ધિ સમગ્ર લુહાર સમાજ માટે ગૌરવશાળી ક્ષણ છે. સમસ્ત લુહાર સમાજનું નામ રોશન કર્યું છે. કિંજલબેન પંચાલની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી. પરંતુ સમગ્ર સમાજ અને ગરીબ પરિવારના વિધાર્થીઓ માટે આશાનું કિરણ છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હજુ પણ ખૂબ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન.
રિપોર્ટર અભયરાજસિંહ વાળા










