![]()
– પત્ની સામે ફરિયાદની માગ ફગાવતી સુપ્રીમનું અવલોકન
– પત્નીએ દહેજ ઉત્પિડનની ફરિયાદ કરી તો પતિની દહેજ આપવા બદલ પત્ની, તેના પરિવાર સામે ફરિયાદની માગ
નવી દિલ્હી : પતિએ પત્ની સામે દહેજ આપવાની ફરિયાદ દાખલ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે દહેજ આપ્યો હોવાની વાત સ્વીકાર કરવા માત્રથી પત્ની અને તેના પરિવાર સામે કેસ ના ચલાવી શકાય. આ સાથે જ સુપ્રીમે પત્ની અને તેના પરિવાર સામે દહેજ આપવા બદલ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવાની ના પાડી દીધી હતી.
રાહુલ અને રાધિકા બન્નેના લગ્ન ૨૦૦૭માં થયા હતા, બન્નેને ત્રણ બાળકો પણ છે. લગ્ન થોડા વર્ષો સુધી ચાલ્યા બાદમાં વર્ષ ૨૦૨૩માં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે દહેજ ઉત્પિડનની કલમ ૪૯૮એ બદલ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં પત્નીએ એવો દાવો કર્યો હતો કે તેના પરિવારે લગ્ન પગેલા દહેજ આપ્યો હતો. આ એક નિવેદનના આધારે બાદમાં પતિએ પણ પત્ની સામે દહેજ આપવાની ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. જોકે મેજિસ્ટ્રેટ દ્વારા પતિની ફરિયાદ નકારવામાં આવી તેથી તે છત્તીસગઢ હાઇકોર્ટ પહોંચ્યો હતો, હાઇકોર્ટે પણ માગણીનો અસ્વીકાર કર્યો હતો. બાદમાં હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
કોર્ટ સમક્ષ પ્રાથમિક સવાલ એ ઉભો થયો હતો કે શું પત્ની અથવા તેના પરિવારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમણે લગ્ન સમયે દહેજ આપ્યો હતો આ એક નિવેદનના આધાર પર તેમની સામે ક્રિમિનલ કેસ થઇ શકે? સુપ્રીમના ન્યાયાધીશ સંજય કુમાર અને કે વિનોદ ચંદ્રને કહ્યું હતું કે દહેજ વિરોધી કાયદાની કલમ ત્રણમાં દહેજ આપવા અને લેવા બન્નેનો ઉલ્લેખ છે. ૧૯૮૨માં જોકે સુધારા કરાયા હતા, જેમાં કમિટીએ એવુ જણાવેલુ કે દહેજ આપનારા ખરેખર પીડિત કહેવાય ક્રિમિનલ નહીં. બાદમાં કોર્ટે આ કાયદાની કલમ ૭(૩)નો ઉલ્લેખ કર્યો હતો જો કોઇ વ્યક્તિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોય તો તે નિવેદન માત્રથી તેની સામે કાર્યવાહી ના થઇ શકે. તેથી પતિની ફરિયાદને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.










