![]()
જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રિક્ષા બાબતે થયેલા મનદુઃખને કારણે યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં આરોપીઓએ લાકડાના ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ તા. 18 એપ્રિલના રોજ મધરાતે આશરે સાડાબાર વાગ્યે જાગૃતિ કોલોની વિસ્તારમાં અલ્તાફભાઈ હનીફભાઈ ખીરા પોતાના મકાન નજીક હાજર હતા ત્યારે આરોપી હાજીસુલતાન અલીમામદભાઈ ખફી અને એક અજાણ્યો વ્યક્તિ બુલેટ મોટરસાયકલ પર આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન હાજીસુલતાનએ મોટરસાયકલમાંથી લાકડાનો ધોકો કાઢી અલ્તાફભાઈના માથાના પાછળના ભાગે તેમજ ડાબા પગમાં માર માર્યો હતો, જ્યારે સાથે આવેલા અજાણ્યા વ્યક્તિએ લાતો મારી હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન અલ્તાફભાઈની પત્ની સાજીદાબેન બચાવવા માટે વચ્ચે પડતાં આરોપીએ તેમને રોડ પર ઢસડી દેતા તેમને પણ ઇજાઓ પહોંચી હતી.
આ પછી આરોપી આસીફભાઈ હનીફભાઈ ખીરા કાર લઈને સ્થળ પર આવ્યો અને ગાળો આપી અલ્તાફભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસો અગાઉ રિક્ષા બાબતે થયેલા મતભેદને કારણે આરોપીઓએ આ હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










