![]()
Supreme Court Plea Against PM Modi’s Address : લોકસભામાં 17 એપ્રિલે મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’ થયું હતું, ત્યારપછી 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ બિલનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષે સારા પ્રયાસની ભ્રૂણહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે આ મામેલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન.પ્રતાપને રાષ્ટ્રસંબોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સંબોધનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજીમાં શું કહેવાયું ?
કોંગ્રેસ નેતાની અરજીમાં કહેવાયું છે કે, વડાપ્રધાને 18 એપ્રિલની રાત્રે લગભગ 8.30 કલાકે દૂરદર્શન અને સંસદ ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. મહિલા અનામત સંશોધન બિલને લગતા રાજકીય ઘટનાક્રમો ઉભા થયા બાદ આ સંબોધન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષોને મહિલા અનામત વિરોધ ગણાવી મતદારોને જવાબ આપવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના
PMએ સરકારી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો : અરજદાર
અરજદાર ટી.એન.પ્રતાપને આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણી સમયગાળા દરમિયાન વિપક્ષી દળોની ટીકા કરાવ માટે સરકારી નિયંત્રણવાળા દૂરદર્શન અને સંસદ ટીવીનો ઉપયોગ કર્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે ચૂંટણી દરમિયાન પક્ષપાતી રાજકીય સંદેશ આપવા માટે સત્તાવાર સરકારી મશીનરી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(7) હેઠળ ભ્રષ્ટ આચરણ ગણી શકાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઔપચારિક ફરીયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આનાથી અનુચ્છેદ 324 હેઠળની પંચની એ બંધારણીય જવાબદારીનો ત્યાગ થયો છે, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપે છે.
વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધમાં વિપક્ષની ટીકા કરી
વડાપ્રધાને લગભગ 30 મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે બિલ પાસ ન થવા પાછળ વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. એટલું જ નહીં વિપક્ષોએ મહિલાઓના બિલ વિરુદ્ધ થઈને ભ્રૂણહત્યા કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ભાષણના અંતે વિપક્ષોને જવાબદાર ઠેરવવાની મતદારોને અપીલ કરી હતી. અરજદારે તર્ક આપ્યો છે કે, રાષ્ટ્રજોગ સંબોધનના કારણે અસામાન્ય ચૂંટણી માહોલ ઉભો થયો, કારણ કે આનાથી સત્તાધારી પક્ષને સરકારી મીડિયા દ્વારા વિપક્ષની ટીકા કરવાની તક મળી, જ્યારે અન્ય ઉમેદવારો MCCના કડક નિયમોથી બંધાયેલા રહ્યા.
આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ
લોકસભામાં બિલ નાપાસ થયા બાદ રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે લોકસભામાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો અને મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો. સરકારે 2011ની વસ્તીગણતરીના આધારે બેઠકો વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષે અત્યારના જે ચૂંટણી મતક્ષેત્રો છે તેમાં કોઈ ફેરફાર કે પુનઃગઠન કર્યા વગર જ અનામત લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારપછી મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે બિલને પાસ કરાવવા માટે 352 મતની જરૂર હતી. આ કારણે બિલ પાસ થઈ શક્યું ન હતું.









