![]()
BJP Leaders Resign In Kheda: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના પોતાના જ વિસ્તારમાં પક્ષના ત્રણ મહત્ત્વના હોદ્દેદારોએ ‘વાલા-દવલા’ની નીતિથી નારાજ થઈને સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે જ સર્જાયેલા આ ઘટનાક્રમથી ભાજપની વ્યૂહનીતિ પર અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
પૂર્વ તાલુકા પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા સદસ્યના રાજીનામા
26મી એપ્રિલના રોજ ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો પર મતદાન થવાનું છે. પ્રચારના અંતિમ તબક્કે જ આ નેતાઓએ પક્ષ છોડતા મતદારોમાં અને કાર્યકરોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સ્થાનીક ચર્ચા મુજબ, જિલ્લા પ્રમુખ દ્વારા ટિકિટ વિતરણ કે અન્ય બાબતોમાં ભેદભાવભરી નીતિ રાખવામાં આવતી હોવાથી આ નેતાઓ લાંબા સમયથી નારાજ હતા.
આ પણ વાંચો: આણંદ: આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતીને જાળમાં ફસાવી પરિણીત યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
આ મામલે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘દિપેનઈપટેલ લાંબા સમયથી વિસ્તારમાં હાજર નથી. પૂર્વ તાલુકા પ્રમુખે અંદરોઅંદરના ઝગડાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. મારો ગળતેશ્વરનો પ્રવાસ હજુ બાકી છે, ત્યારબાદ જ આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.’ ચૂંટણીના બરાબર ટાણે જ સર્જાયેલા આ રાજકીય ભૂકંપને ખાળવામાં ભાજપ સફળ રહેશે કે પછી વિરોધ પક્ષને આનો સીધો ફાયદો થશે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.
જિલ્લા પ્રમુખને પોતાના રાજીનામા મોકલનાર
•પૂર્વ તાલુકા પ્રમુખ જયંતી પરમાર
•પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન હંસાબેન પરમાર
•જિલ્લા સદસ્ય દીપેન પટેલ










