Arvind Kejriwal Boycotts Delhi High Court Hearing: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને ‘સત્યાગ્રહ’ કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
કેજરીવાલે પત્ર લખીને કોર્ટમાં હાજર ન થવાનું જણાવ્યું
કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, તેમણે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જસ્ટિસ સ્વર્ણકાંતા દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણય સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો પોતાનો અધિકાર અબાધિત રાખશે. આ સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલ અને મનીષ સિસોદિયાની તે અરજી ફગાવી દેવામાં આવી, જેમાં તેમણે આ કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ પાસેથી હટાવવાની માંગ કરી હતી.
કેજરીવાલના નવા નિર્ણયથી દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
20 એપ્રિલના રોજ કોર્ટે આ વિનંતીને ફગાવી દેતા જસ્ટિસ શર્માને સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેનાથી કેજરીવાલ નારાજ જણાઈ રહ્યા છે. દારૂ નીતિનો આ મામલો આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ સાથે જોડાયેલો છે અને લાંબા સમયથી કાનૂની વિવાદમાં છે. કેજરીવાલનું આ નવું કદમ એવા સમયે આવ્યું છે જ્યારે મામલો હજુ પણ કોર્ટમાં વિચારાધીન છે, જેના કારણે દિલ્હીના રાજકારણમાં અને કાનૂની જગતમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.
કથિત દારૂ કૌભાંડ અને કાનૂની ગૂંચ
દિલ્હી સરકાર દ્વારા 2021-22માં અમલમાં મુકાયેલી નવી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ)માં ગેરરીતિ થઈ હોવાના આરોપો બાદ CBI અને ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ નીતિ દ્વારા કેટલાક પસંદગીના વેપારીઓને ફાયદો પહોંચાડીને તેના બદલામાં કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ હતી. જોકે, નીચલી અદાલતે તેમને આ કેસમાં રાહત આપતા તપાસ એજન્સીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
જજ બદલવાની માંગ અને કેજરીવાલનો અવિશ્વાસ
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે અદાલતમાં અરજી કરી હતી કે આ કેસની સુનાવણી જસ્ટિસ શર્માની બેન્ચ પાસેથી હટાવીને અન્ય કોઈ બેન્ચને સોંપવામાં આવે. 20 એપ્રિલના રોજ હાઇકોર્ટએ આ વિનંતીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે સુનાવણી આ જ બેન્ચ દ્વારા ચાલુ રાખવામાં આવશે. આથી આ નિર્ણયથી નારાજ થઈને કેજરીવાલે હવે અદાલતી કાર્યવાહીનો બહિષ્કાર કરીને ‘સત્યાગ્રહ’ના માર્ગે લડત આપવાનો નિર્ણય લીધો છે.











