દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે…
આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌહત્યા સંપૂર્ણ બંધ કરાવવા, કતલખાના બંધ કરવા અને ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે ચર્ચા કરવામાં આવી
રાધનપુર, અનિલ રામાનુજ , એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી અને રાધનપુર ખાતે ગૌસન્માન અભિયાન અંતર્ગત ગૌભક્તો તથા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનાર તા. 07/06/2026ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા તેમજ સનાતન સમાજના ભાઈ-બહેનોની સહી ઝુંબેશને સફળ બનાવવા માટે આયોજન અને રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌહત્યા સંપૂર્ણ બંધ કરાવવા, કતલખાના બંધ કરવા અને ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવા માટે કડક કાયદો લાવવાની માંગ સાથે ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે સાધુ-સંતોએ જણાવ્યું હતું કે દેશમાં દરરોજ મોટી સંખ્યામાં ગૌમાતાનું કતલ થતું હોવાનું દુઃખદ છે અને ગૌરક્ષાને લઈને સમગ્ર દેશના સનાતન સમાજમાં ભારે ભાવના જોવા મળી રહી છે. અંગ્રેજ શાસનકાળથી ચાલી રહેલા કતલખાનાઓ બંધ કરવા માટે હવે રાષ્ટ્રીય સ્તરે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે.
વારાહી ગૌશાળા, સાંતલપુર ગૌશાળા તેમજ રાધનપુર ખાતે આવેલ વાગડ લોહાણા મહાજન વાડીમાં યોજાયેલ બેઠકોમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સમાજના આગેવાનો અને સાધુ-સંતો હાજર રહ્યા હતા. દરેક ઘરેથી વધુમાં વધુ લોકો સહી અભિયાનમાં જોડાય અને આવેદનપત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે પણ આ બેઠકમાં અપીલ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગૌમાતાના સંરક્ષણ માટે ગામે ગામ જાગૃતિ લાવવા, સહી ઝુંબેશ ચલાવવા અને 7 જૂનના રોજ મામલતદાર કચેરીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવા માટેની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.










