![]()
Satyaki Savarkar testimony: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લંડનમાં વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ ફાઇલ થયેલા ગુનાહિત માનહાનિના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પુણેની સ્પેશિયલ MP/MLA કોર્ટમાં જુબાની દરમિયાન વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે તેમના જીવન, તેમની વિચારધારા અને તે સમયના વિવાદો પર અનેક ખુલાસા કર્યા છે.
ગાય અને ધર્મ પર સાવરકરના વિચારો
રાહુલ ગાંધીના વકીલ મિલિંદ પવારની ઊલટતપાસ દરમિયાન સત્યકીએ સ્વીકાર્યું હતું કે, સાવરકર ગાયને ભગવાન માનતા નહોતા. તેમના મતે ગાય માત્ર એક ઉપયોગી પશુ હતી. આ વિધાન સાવરકરના તર્કવાદી અને વિજ્ઞાનનિષ્ઠ અભિગમને સ્પષ્ટ કરે છે. જે ઘણીવાર જમણેરી અને ડાબેરી પક્ષો વચ્ચે વિવાદનો વિષય બને છે.
દયા અરજીઓ અને બ્રિટિશ સેનામાં ભરતી
કોર્ટમાં સાવરકર દ્વારા કરાયેલી 5 દયા અરજીઓનો મુદ્દો પણ ઉછળ્યો હતો. સત્યકીએ સ્વીકાર્યું કે, સેલ્યુલર જેલમાં સજા દરમિયાન સાવરકરે પાંચવાર અરજી કરી હતી, પરંતુ બચાવમાં તર્ક આપ્યો કે તે સમયે અન્ય રાજકીય કેદીઓ પણ આવી અરજીઓ કરતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીયોને બ્રિટિશ સેનામાં જોડાવાની સાવરકરની અપીલને સત્યકીએ તેમની દૂરદર્શિતા ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે, સાવરકર ઈચ્છતા હતા કે ભારતીય યુવાનો સૈન્ય તાલીમ અને હથિયારોનો અનુભવ મેળવે. જે આઝાદી બાદ પાકિસ્તાન સામેના યુદ્ધમાં કામ લાગ્યો હતો.
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ
ટુ-નેશન થીયરી
સાવરકર પર લાગતા ટુ-નેશન થીયરીના આરોપો પર સત્યકીએ કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, આ મૂળ અવધારણા સાવરકરની નહીં, પરંતુ સર સૈયદ અહમદ ખાનની હતી. સાવરકરે માત્ર તે સમયની પરિસ્થિતિઓ પર તથ્યાત્મક ટિપ્પણીઓ કરી હતી.
સ્વાતંત્ર્યવીરની ઉપાધિ અને ભારત રત્ન
સત્યકીએ જણાવ્યું કે સ્વાતંત્ર્યવીરની ઉપાધિ કોઈ સરકારી ગેઝેટ દ્વારા નહીં, પરંતુ એક લેખક દ્વારા તેમના સન્માનમાં આપવામાં આવી હતી. સાવરકરને ભારત રત્ન આપવાની માંગ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારના ત્રણ સભ્યોને આ સન્માન મળી ચૂક્યું છે.
આગળ શું થશે?
સત્યકી સાવરકરની ઉલટતપાસ હજુ પૂર્ણ થઈ નથી. અદાલતે આ કેસની આગામી સુનાવણી 1 જૂન ના રોજ નક્કી કરી છે. આ કેસ માત્ર રાહુલ ગાંધીની કાનૂની મુશ્કેલીઓ જ નહીં, પણ સાવરકરના ઐતિહાસિક પ્રદાન પરની રાષ્ટ્રીય ચર્ચાને પણ નવી દિશા આપી શકે છે.










