![]()
ગાંધીનગર: કેન્દ્ર સરકારના પગલે હવે ગુજરાત સરકારે પણ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. રાજ્યના નાણા વિભાગે મોંઘવારી ભથ્થા (DA) માં 2% વધારાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થઈ ગયું છે.
કેન્દ્ર બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
નોંધનીય છે કે, 18 એપ્રિલ 2026ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAમાં 2% વધારો કરવાની મંજૂરી આપી હતી. કેન્દ્રના આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ ત્વરિત અમલ કરતા રાજ્યના કર્મચારીઓના હિતમાં આ જાહેરાત કરી છે.
ક્યારથી મળશે લાભ અને એરિયર્સની ગણતરી?
આ વધારો 1 જાન્યુઆરી, 2026 ની અસરથી લાગુ ગણવામાં આવશે. વધારાનું ભથ્થું મે-2026 ના પગાર સાથે ચૂકવવામાં આવશે. એરિયર્સ એટલે કે તફાવતની રકમ જાન્યુઆરીથી એપ્રિલ સુધીના કુલ 4 મહિનાના તફાવતની રકમ મે માસના પગાર સાથે (જે જૂન-2026માં હાથમાં આવશે) રોકડમાં ચૂકવવામાં આવશે.
કોને કોને થશે આ નિર્ણયનો લાભ?
સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે લાખો પરિવારોને આર્થિક ફાયદો થશે, જેમાં સાતમા પગારપંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ. પંચાયત વિભાગના કર્મચારીઓ. ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ. અખિલ ભારતીય સેવા (AIS)ના અધિકારીઓ અને રાજ્ય સરકારના તમામ પેન્શનરોને લાભ થશે.
મોંઘવારી વચ્ચે મોટી રાહત
છેલ્લા કેટલાક સમયથી વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનની રકમમાં સીધો વધારો જોવા મળશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે હવે DAનો દર 60% પર પહોંચતા સરકારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.










