![]()
Jamnagar : ભારતના વડાપ્રધાનના આવનારી 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે.
માહિતી મુજબ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ટુકડીઓ દ્વારા જામનગર એરપોર્ટથી લાલબંગ્લા સર્કિટ હાઉસ સુધી તેમજ એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના મહત્વના રૂટ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રૂટ પર આવેલા રેકડી-પથારા, લારીઓ તેમજ અન્ય કોઈપણ પ્રકારના રસ્તા પરના દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે વેપારીઓ અને રેકડીધારકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે માર્ગ પર આવેલા હોર્ડિંગ્સ અને બિનઅધિકૃત બોર્ડ્સને પણ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી બંને રૂટ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્ત અને સ્વચ્છ રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. આ કામગીરી માટે એસ્ટેટ વિભાગની ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરશે, જેથી વડાપ્રધાનના સંભવિત પ્રવાસ દરમિયાન શહેરમાં વ્યવસ્થિત ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય.










