Gujarat Road Accidents: ગુજરાતમાં ઓવરસ્પીડને કારણે રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં રોડ અકસ્માતથી થયેલા 7717 મૃત્યુમાંથી 6314માં ઓવરસ્પીડ જવાબદાર હતી. આમ, રોડ અકસ્માતથી થતાં મૃત્યુમાં 82 ટકામાં ઓવરસ્પીડ જવાબદાર હોય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા 2024ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતના 15588 કેસ નોંધાયા છે અને તેની સામે 7717 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં રોડ અકસ્માતના 16349 કેસ નોંધાયા હતા અને 7854ના મોત થયા હતા. આમ, વર્ષ 2023 કરતાં વર્ષ 2024માં રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે.

ટુ વ્હીલરથી સૌથી વધુ 3795ના રોડ અકસ્માતમાં મોત થયા છે જ્યારે 1032માં ફોર વ્હીલર વાહન હતું. અકસ્માતથી થતાં મોતના અન્ય કારણમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ, દારૂ કે ડ્રગ્સના નશામાં વાહન ચલાવવું જેવા પરિબળો જવાબદાર રહ્યા છે. જેમાં બેદરકારીભરેલા ડ્રાઇવિંગથી થયેલા 2432 અકસ્માતમાં 1075ના મોત થયા છે.


સાંજે 6થી 9 દરમિયાન સૌથી વધુ 3397 જ્યારે પરોઢે 3થી 6 દરમિયાન સૌથી ઓછા 304 અકસ્માત થયેલા છે. સ્ટેટ હાઈવેમાં 2225, નેશનલ હાઈવેમાં 2190 જ્યારે એક્સપ્રેસ વેમાં 60ના માર્ગ અકસ્માતમાં મોત થયાનું આ અહેવાલમાં સામે આવ્યું છે. ગુજરાતના રસ્તામાં રસ્તે ચાલતા જતા લોકો પણ સલામત નથી. એક વર્ષમાં 1710 વ્યક્તિના રસ્તામાં ચાલતા જતી વખતે વાહનની ટક્કરથી મૃત્યુ થયા છે.










