![]()
ભુજમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલએ ચિંતા વ્યકત કરી : આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મુક્યો
ભુજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી તેમણે કચ્છમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે પ્રાકૃતિક ખેતી શરૃ ખેડૂતોને સંકલ્પબધ્ધ કર્યા હતા. આ સાથે પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.
પરિસંવાદમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની થઇ છે, હવામાં ઝેરી તત્વો સાથે ભુર્ગભ પણ જળ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ જીવન હરનાર નહીં પરતું ખરાઅર્થમાં જીવનદાતા બનીને આ પાપથી મુક્ત બનવા કમર કસવી જોઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.
તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યા અંગે ચિંંતા વ્યકત કરી હતી. આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મુક્યો હતો.
દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલએ ગાયને ખેતી માટે વરદાનરૃપ ગણાવીને તેના ગોબર અને મુત્ર પણ પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવતા દુધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઓૈલાદની ગાય લેવા તથા આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડીંગ કરવા જણાવ્યું હતું.










