![]()
વાયુસેનાના એર-શોની ટ્રાયલમાં વિવિધ ફોર્મેશન્સનું નિદર્શન યોજાયું : પ્રથમ જ્યોતિર્લિંગના આકાશમાં એરસ્મોક દ્વારા ત્રિરંગાની પ્રતિકૃતિ રચાશેઃ સર્ફેસ ટુ એર અને એર ટુ એર સંકલન સાધી કરતબ દર્શાવાશે
વેરાવળ, : પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ સાથે ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથમાં 11મી મેના રોજ ફાઇટર જેટ દ્વારા દિલધડક સૂર્યકિરણ એર શો યોજાશે. આ એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું આજે નિદર્શન યોજાયું હતું. લોકો હવાઇ કરતબો નિહાળી અભિભૂત થયા હતા.
પ્રભાસક્ષેત્રના આકાશમાં સૂર્યકિરણ એર શોમાં છ એરક્રાફ્ટ (ફાઈટર જેટ) દ્વારા આકાશમાં ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લાઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે.
ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ જણાવ્યું હતું કે, એરફોર્સની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા 11મી મેના રોજ સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. એરફોર્સના હાક-એમ.કે – 132 શ્રેણીના કુલ 6 ફાઈટર જેટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર સૂર્યકિરણ એર શો થશે. ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર અજય દશરથીના માર્ગદર્શનમાં આ સમગ્ર કવાયત કરાશે. જમીનથી હવામાં અને હવામાંથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધીને આ રોમાંચક અને દિલધડક કરતબો દર્શાવાશે. સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શો અને તેના રિહર્સલ માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.










