![]()
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામો ગત તા.28 એપ્રિલે આવી ચુક્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની પુર્ણાહુતિ સાથે જ ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોર્પોરેશનના નવા મહિલા મેયર સહિતના પાંચેય પદાધિકારીઓના નામની જ્ઞાતિ-સમાજ, 2027ની વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખીને પસંદગી થશે. જેના માટે આજે સૌ પ્રથમ સંકલનની બેઠક મળી રહી છે, અને ત્યારબાદ આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, અને સંભવિત ત્યાર પછી નામોની જાહેરાત થઈ શકે છે. અને જામનગરને આવતા સોમવારે નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો મળી જશે.
બીજી તરફ મ્યુ. કમિશનરને એક-બે દિવસમાં ગેઝેટ મળે એટલે તેઓ 3 દિવસનો નોટીસ પિરીયડ રાખીને ગમે ત્યારે મેયરની ચુંટણીનું જનરલ બોર્ડ બોલાવી શકે છે. આવા સંજોગોમાં શહેરના 16 વોર્ડની 64માંથી 60 બેઠકો મેળવીને સત્તા મેળવનારી ભાજપાના નવા મહિલા મેયર, ડે. મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ હશે. તેની અટકળો, અને ચર્ચાઓએ વેગ પકડયું છે.
જામનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી અત્યાર સુધીમાં કુલ 26 મેયરો મળ્યા છે. હવે જે આવશે, તે 27મા મેયર હશે. ભાજપાએ 1993માં એક વખત સત્તા મેળવ્યા બાદ અપક્ષ શાસન આવેલું, ફરી 1995થી 1999 સુધી ભાજપાનું શાસન રહ્યું. બાદમાં બળવાખોરોએ અપક્ષ સાથે મળીને સત્તા ભોગવી હતી. ત્યાર પછીથી એટલે કે, 2000ની સાલથી આજ સુધી મ્યુ. કોર્પો.માં ભાજપાનું અવિરત શાસન રહ્યું છે. માત્ર ભાજપાની જ વાત કરીએ તો ભાજપાના 15 મેયરો આવ્યા છે. જેમાં સરલાબને ત્રિવેદી, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, બીનાબેન કોઠારી એમ પાંચ મહિલાઓ મેયર પદે રહી ચુક્યા છે. આગામી અઢી વર્ષ માટે મ્યુ. કોર્પો.માં મેયર પદ સામાન્ય મહિલા અનામત છે. તેથી શહેરને હવે છઠ્ઠા મહિલા મેયર મળશે. જેના નામની જાહેરાત આગામી સોમવાર સુધીમાં થાય તેવી શક્યતા છે. મ્યુ. કમિશનરને ગેઝેટ મળ્યા બાદ તેઓ 3 દિવસનો નોટીસ પીરીયડ રાખીને પ્રથમ જનરલ બોર્ડની બેઠક બોલાવશે. જેમાં મેયર, ડે. મેયરની ઔપચારિક ચુંટણી યોજાશે. ત્યારબાદ પાર્ટીની ગોઠવણ મુજબના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક, શાસક જુથના નેતા જેવા અન્ય પદાધિકારીઓ અને ઈન્ટરનલ કમિટીઓની રચના થશે.
જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત, છ તાલુકા પંચાયતમાં અલગ અલગ અનામત
રાજ્યના ચુંટણી પંચ દ્વારા ગત મહિનાઓમાં જાહેર કરવામાં આવેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ પદોના અને બેઠકોના અનામતોના રોટેશન મુજબ જોઈએ તો જામનગર જિ.૫.માં પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત રાખવામાં આવ્યું છે. આ જ રીતે તાલુકા પંચાયતોના પ્રમુખ પદોના અનામત રોટેશનો જોઈએ તો જામનગર તા.પ.માં પ્રમુખ પદ ઓબીસી-પુરુષ માટે, જોડીયા તા.પં.માં પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે, લાલપુર તા.પં.મા પ્રમુખ પદ સામાન્ય પુરુષ માટે, ધ્રોળ તા.પં.માં પ્રમુખ પદ સામાન્ય પુરુષ માટે, જામજોધપુર તા.પં.માં પ્રમુખ પદ ઓબીસી મહિલા માટે તેમજ કાલાવડ તા.પં.માં પ્રમુખ પદ અનુસુચિત મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે.









