![]()
Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાંથી પસાર થતી અને મગરોનું ઘર ગણાતી વિશ્વામિત્રી નદીમાં મગરોના મોતના સિલસિલાએ ભારે ચિંતા જગાવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના એપ્લાઇડ આર્ટ વિભાગ નજીકથી આશરે 10 ફૂટ લાંબો મહાકાય મગર મૃત હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વન્યજીવ ક્ષેત્રે કામ કરતી ખાનગી સંસ્થાના સભ્યોએ સ્થળ પર પહોંચીને મગરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
છેલ્લા 3 મહિનામાં વિશ્વામિત્રીમાં મગરના મોતની આ 6ઠ્ઠી ઘટના
ચિંતાજનક બાબત એ છે કે 3 મહિનાના ટૂંકા ગાળામાં વિશ્વામિત્રી નદીમાંથી અત્યાર સુધીમાં કુલ 6 મગરોના રહસ્યમય મોત નીપજ્યા છે. અગાઉ ક્યાં-ક્યાંથી મૃત મગરો મળી આવ્યા તેની પર નજર કરીએ તો..
મૃત મગર ક્યાંથી મળી આવ્યો?
1- કમાટીબાગના પાછળના ભાગેથી
2- રાત્રી બજાર બ્રિજ પાસેથી
3- આંબેડકર ભવનના પાછળના ભાગેથી
4- કારેલીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ પાછળથી
5- નદીના અન્ય પટ વિસ્તારમાંથી
6- આજની ઘટના, MS યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટી પાછળથી
પ્રદૂષણ કે પરસ્પરની લડાઈ? મોતનું કારણ અકબંધ
આજે મળી આવેલા 10 ફૂટના મગરનું મોત કયા સંજોગોમાં થયું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક અનુમાનો મુજબ, આ મોત અન્ય મગર સાથેના પ્રાદેશિક પ્રભુત્વની લડાઈમાં થયું છે, કે પછી નદીના અત્યંત કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીના કારણે થયું છે, તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. વન વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા: વાડીમાં રોડ બનાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસ બોલાવવી પડી!
ફેકલ્ટી પાછળના નાળામાં ગંદકી અને પ્રદૂષણનું સામ્રાજ્ય
સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે જગ્યાએથી આ મગરનો મૃતદેહ મળ્યો છે, ત્યાં નદી અને નાળાના સંગમ સ્થાને અત્યંત દુર્ગંધ મારતું કેમિકલયુક્ત પાણી અને કચરાના ઢગલા જોવા મળે છે. આ પ્રદૂષિત અને કાળા પડી ગયેલા પાણીની સપાટી પર જ આ મહાકાય મગર ઊંધો તરતો જોવા મળ્યો હતો. સતત થઈ રહેલા મગરોના મોતના કારણે વડોદરાના પર્યાવરણપ્રેમીઓ અને વન્યજીવ રક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને નદીમાં ઠલવાતા ગંદા તેમજ કેમિકલયુક્ત પાણીને તાત્કાલિક રોકવા માંગ ઉઠી રહી છે.










