![]()
Fuel Crisis Hits Amreli: અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે હાહાકાર મચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને અન્ય આંતરિક પરિબળોની અફવાઓ વચ્ચે જિલ્લાના સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતાં ‘નો સ્ટોક’ના બોર્ડ મારી દેવાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ખેડૂતોને 200 લીટર આપવાના પરિપત્ર સામે માત્ર 1 હજારનું જ ડીઝલ અપાતા હોબાળો
વડીયામાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ 200 લીટર સુધી પેટ્રોલ-ડીઝલ આપવાનો સરકારી પરિપત્ર હોવા છતાં, પંપ સંચાલકો દ્વારા પૂરતો જથ્થો ન હોવાનું કહીને માત્ર 1 હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહનો ઉપરાંત ખેડૂતો પ્લાસ્ટિકના મોટા-મોટા કેરબા લઈને લાઈનોમાં ઊભા રહી ગયા છે. ટ્રેક્ટરો અને ફોર વ્હીલર વાહનોની લાઈનોને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો
તમામ પંપો પર ડીઝલ ખાલી, માત્ર એક જ પંપ શરૂ રહેતા કતારો લાગી
સાવરકુંડલા તાલુકા અને શહેરમાં સ્થિતિ વધુ વણસી છે. અહીંના મોટાભાગના પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. સમગ્ર સાવરકુંડલામાં માત્ર મહુવા રોડ પર આવેલો એક જ પેટ્રોલ પંપ ચાલુ હોવાથી આખા પંથકના વાહનચાલકો ત્યાં ઉમટી પડ્યા છે. સાવરકુંડલાના તમામ પંપો પર ડીઝલનો જથ્થો શૂન્ય થઈ ગયો છે. અન્ય પંપો બંધ હોવાના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે અને ઈંધણ મેળવવા કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
ખેતીની સીઝન વચ્ચે જ ડીઝલની તંગીથી જગતનો તાત ચિંતાતુર
બાબરા શહેરમાં પણ આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થયું છે. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગેલી છે. હાલમાં ખેતીની મહત્ત્વની મોસમ ચાલી રહી છે, જેમાં ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો માટે ડીઝલની સખત જરૂરિયાત હોય છે. આવી કટોકટીના સમયે જ ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિથી પરેશાન થઈ ઉઠ્યા છે. અહીં પણ પંપો દ્વારા માત્ર એક હજારથી બે હજાર રૂપિયા સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં અચાનક સર્જાયેલી આ ઈંધણ કટોકટી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.










