– ચારથી પાંચ દિવસ આતંકીઓ હુમલા સ્થળની આસપાસ જ હતા
– હુમલામાં સામેલ બે સ્થાનિક આતંકીઓ વાઘા બાર્ડરેથી પાક. ગયા પણ કઠુઆના ગુપ્ત માર્ગેથી પરત આવ્યા હતા
– હુમલો થયો ત્યાં ૧૫ દિવસ પૂર્વે જ દુકાન ખુલી હતી જોકે ઘટનાના દિવસે બંધ હતી, સ્થાનિકોએ આતંકીઓને મદદ કર્યાની શંકા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. એનઆઇએની પ્રાથમિક તપાસમાં આ હુમલા અંગે કેટલાક ખુલાસા થયા છે. હુમલામાં ચાર આતંકી સામેલ હતા જેમાંથી બે આતંકીઓ સ્થાનિક હતા, આ સ્થાનિક આતંકીઓ પર્યટકો સાથે ભળી ગયા હતા અને ટોળાને હથિયારધારી અન્ય બે આતંકીઓ તરફ લઇ ગયા હતા. એક અધિકારીનો દાવો છે કે આતંકીઓ ચાર પાંચ દિવસ સુધી હુમલા સ્થળ બૈસરનની આસપાસ જ હતા.
રિપોર્ટ મુજબ પહલગામ હુમલાના ચાર આતંકીઓમાંથી બે આતંકીઓ દક્ષિણ કાશ્મીરથી હતા. આ બન્ને સ્થાનિક કાશ્મીરી આતંકીઓ ભારત-પાક. વચ્ચેની વાઘા-અટારી બોર્ડરેથી દસ્તાવેજો સાથે પાકિસ્તાન ગયા હતા, જોકે તેમના પરત ફરવાની કોઇ માહિતી સામે નહોતી આવી. એવા અહેવાલ છે કે આ બન્ને આતંકીઓ પાકિસ્તાનમાં તાલિમ લીધા બાદ જમ્મુના કઠુઆની સરહદ ઓળંગીને ભારતમાં પરત ફર્યા હતા. પહલગામ હુમલા પૂર્વે આ બન્ને આતંકીઓ પર્યટકોની વચ્ચે સ્થાનિક વેશભુષામાં ભળી ગયા હતા, હુમલા પૂર્વે પર્યટકોને ફૂડ કોર્ટમાં એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં અન્ય બે પાકિસ્તાની આતંકીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળીબાર કરી દીધો હતો. એટલે કે બે સ્થાનિક આતંકીઓ પર્યટકોના ટોળાને એ દિશા તરફ લઇ ગયા જ્યાં પાકિસ્તાની આતંકીઓએ બાદમાં હુમલો કરી દીધો હતો. આતંકીઓને ખ્યાલ હતો કે એક ગોળીનો અવાજ સાંભળતા જ પર્યટકો વિખેરાઇ જશે જેથી ઇરાદાપૂર્વક પહેલા પર્યટકોમાં ભળી ગયા હતા અને હથિયારધારી આતંકીઓ તરફ લઇ ગયા હતા.
તપાસ અધિકારીઓને શંકા છે કે સ્થાનિકોની મદદ વગર આતંકીઓ ચારથી પાંચ દિવસ હુમલા સ્થળની આસપાસ રહી જ ના શકે. એક અધિકારીએ કહ્યું હતું કે આતંકીઓ ચારથી પાંચ દિવસ પૂર્વે જ હુમલા સ્થળની આસપાસ હતા, તેમને સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી હોવાની શંકા છે.
પર્યટકો પર બેફામ ગોળીબાર કરાયો ત્યાં કેટલીક દુકાનો પણ હતી, જેમાંથી એક દુકાન હુમલાના ૧૫ દિવસ પહેલા જ ખુલી હતી, જોકે હુમલાના દિવસે આ દુકાન બંધ હતી. હવે તપાસ અધિકારીઓ એ ચકાસણી કરી રહ્યા છે કે શું આ દુકાનદારે આતંકીઓને મદદ કરી હતી કે કેમ, ઘટના સ્થળેથી સ્નાઇપર રાઇફલ, એમ-સીરીઝ રાઇફલ અને બુલેટપ્રૂફને ભેદી શકે તેવી ગોળીઓ સહિતના આધુનિક હથિયારો મળ્યા છે. શંકા છે કે આ હથિયારો અફઘાનિસ્તાનમાં નાટોના સૈનિકો છોડી ગયા હતા તે હોઇ શકે છે. હુમલાખોરોની જાણકારી માટે આશરે ૧૦૦ જેટલા સ્થાનિકોની એનઆઇએ દ્વારા પૂછપરછ થઇ ચુકી છે.