![]()
Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર અકસ્માતનો એક સનસનાટીભર્યો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મીઠોઈ પાટીયા નજીક હાઇવે પરથી પગપાળા પસાર થઈ રહેલા એક યુવકને પુરઝડપે આવતી મારુતિ ઇકો કારના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા ભૂલીને વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
રોડ ક્રોસ કરતી વખતે જ કાળ ભેટી ગયો
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર, અકસ્માતની આ ઘટના તા. 18 મે 2026 ના રોજ બની હતી. મૃતક યુવકની ઓળખ પ્રશાંત રામનરેશ સવીતા (ઉં.વ. 31, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઇ છે. પ્રશાંતભાઈ જામનગર-ખંભાળિયા હાઇવે પર મીઠોઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે ખંભાળિયા તરફથી જામનગર તરફ જઈ રહેલી એક મારુતિ ઇકો કાર, જેનો નંબર GJ-37-M-1320 છે, તેના ચાલકે પોતાની કાર ગફલતભરી અને બેફામ સ્પીડે હંકારીને પ્રશાંતભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી.
આ પણ વાંચો : ‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ
માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં દમ તોડ્યો
કારની સ્પીડ એટલી વધારે હતી કે પ્રશાંતભાઈ રોડ પર પટકાયો હતો અને તેને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અંગે સુરત રહેતા તેમના ભાઈ સુમીતકુમાર રામનરેશ સવીતા (ઉં.વ. 37) જામનગર દોડી આવ્યા હતા અને તેમણે મેઘપર પોલીસ મથકે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
પોલીસ એક્શનમાં
હિટ એન્ડ રન કરનાર ઈકો કારના ચાલકને પકડવા માટે મેઘપર (પડાણા) પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 281 (બેદરકારીથી વાહન ચલાવવું), 106(1) (બેદરકારીથી મોત નીપજાવવું) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાઇવે પરના સીસીટીવી (CCTV) ફૂટેજ અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપી ચાલકને દબોચી લેવા કવાયત શરૂ કરાઈ છે.










