![]()
સાવલી તા.૨૦ સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાંથી એક મહિના પહેલા મળેલી એક મહિલાની લાશની ઓળખ બાદ તેની કરપીણ હત્યા થઇ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમ સંબંધ મુદ્દે હત્યા થઇ હોવાની આશંકા સાથે એક શખ્સની અટક પણ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુવાલ ગામની સીમમાં નિલગીરીના ખેતરમાંથી તા.૧૧ એપ્રિલના રોજ એક મહિલાની ડિકંપોઝ થયેલી લાશ મળી હતી. આ અંગે સાવલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. મહિલા પાસેથી કપડાં, પાકિટ, ધાતુનો સિક્કો, ચાવી તેમજ ચંપલ અને હાથની બંગડી અને વીંટી મળી હતી જે પોલીસે કબજે લીધી હતી. પોલીસ મહિલાની ઓળખ કરતી હતી અને આખરે સફળતા મળી છે.
મહિલાનું નામ ભાવનાબેન પરમાર જે મૂળ સાબરકાંઠાની વતની તેમજ રસોઇનું કામ કરતી હોવાની વિગતો બહાર આવી છે. તા.૩૦ માર્ચના રોજ તેઓ પાવાગઢ માતાના મંદિરે જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી અને તેના સંતાનો તેમજ પરિવારજનો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાના ભાઇ ગોપાલભાઇ મગનભાઇ રાઠોડના ઘરની સામે યોજાયેલા લગ્નમાં આવેલા એક મહેમાને ગોપાલભાઇને મોબાઇલમાં ભાવનાબેનનો ફોટો બતાવ્યો હતો અને આ સ્ત્રીને કોઇ ઓળખતું હોય તો સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવો ઉલ્લેખ હતો.
સોશિયલ મીડિયામાં આવેલા આ મેસેજના પગલે ગોપાલભાઇ તેમજ મૃતક ભાવનાબેનનો પુત્ર દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર (રહે.અંત્રોલીવાસ, દોલજી, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા) સાવલી પોલીસ સ્ટેશન આવ્યા હતાં અને તા.૩૦ માર્ચથી ગુમ માતાની ઓળખ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચાંદીના છડા અંગે મૃતક મહિલાના મિત્ર સાગરસિંગ મકવાણા સાથે ઝઘડો થતાં સાગરસિંગે ગળું દબાવી મહિલાની હત્યા કરી તે ફરાર થઇ ગયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.









