![]()
વડોદારાઃ કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી સામે દારૃના કેસનો વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે કોંગ્રેસમાંથી તાજેતરમાં ચૂંટણી હારી ગયેલા વધુ એક કોંગી કાર્યકરે દારૃની ખાલી બોટલ આપી જવાના કાર્યક્રમની પોસ્ટ મૂકતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.
સ્વેજલ વ્યાસ નામના કોંગ્રેસના કાર્યકરે તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે,શહેરમાં દારૃના ખોટા કેસ ઉભા થાય છે ત્યાં દારૃની ખાલી બોટલ પણ સત્ય બોલશે.આ લખાણની સાથે તેણે તા.૧૯મી મે એ સાંજે ૫થી ૬ દરમિયાન સુભાનપુરાના ઝાંસી કી રાણી સર્કલ ખાતે બુટલેગરો અને નાગરિકોને દારૃની ખાલી બોટલ આપી રૃ.૧૦૦ લઇ જવાના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ગોરવા પોલીસે કહ્યું છે કે,ઉપરોક્ત કાર્યક્રમ માટે સ્વેજલ વ્યાસ દ્વારા કોઇ પરવાનગી લેવામાં આવી નથી અને આ પ્રકારના કાર્યક્રમથી પોલીસ માટે વૈમનસ્ય પેદા થાય તેમ છે.વળી નાણાંકીય લાલચ આપી જાહેર કરાયેલા આવા કાર્યક્રમથી સાંજના સમયે ટ્રાફિકનેપણ અડચણ થાય તેમ હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે,જેની તપાસ ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયા કરી રહ્યા છે.આરોપીને પોલીસે ફરિયાદ બાબતે નોટિસ આપી જાણ કરી છે.








